માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ 3 અને 4 ડિસેમ્બરના રોજ રહેશે. પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 4 તારીખે જ કરવામાં આવશે. મહાભારત, નારદ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
એકાદશી તિથિ ક્યારે?
માગશર મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ 3 ડિસેમ્બર, શનિવારે સૂર્યોદય પછી એટલે સવારે લગભગ 8.01 વાગ્યાથી શરૂ થઈ જશે. પછી બીજા દિવસે એટલે 4 ડિસેમ્બર, રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 7 વાગીને 8 મિનિટ સુધી રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર અને કાશીના પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે જ્યારે એકાદશી તિથિ બે દિવસ સુધી સૂર્યોદય સમયે રહે તો બીજા દિવસે વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવું જોઈએ.
મોક્ષ આપનારી એકાદશી
પૌરાણિક માન્યતા છે કે માગશર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પાપ નષ્ટ પામે છે અને પૂર્વજોને પણ મોક્ષ મળે છે. એટલે આ મોક્ષ આપનાર વ્રત માનવામાં આવે છે. આ વ્રત કરવાથી મળતું પુણ્ય અનેક યજ્ઞ કરવા સમાન મળે છે.
ગીતા જયંતી પર્વ
જ્યારે દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ શરૂ હતું. ત્યારે યુદ્ધ સમયે અર્જુનને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો તે દિવસે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશી હતી એટલે આ વ્રતનું મહત્ત્વ વધી જાય છે. આ દિવસે પહેલીવાર ભગવાનના મુખથી ગીતાનું જ્ઞાન સાંભળવા મળ્યું હતું. એટલે તેને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.