4 નવેમ્બરના રોજ આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિ પણ છે. આ દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન કરવાનું મહત્ત્વ પણ છે. ધર્મ ગ્રંથોમાં આ દિવસને પર્વ કહેવામાં આવ્યું છે. આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવતી પૂજા અને દાન અક્ષય ફળદાયક હોય છે. અમાસ તિથિએ ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ગુરુવારે સ્નાન-દાન અમાસ-
સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાનથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ પર્વમાં ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. સાથે જ, શ્રદ્ધા પ્રમાણે દાન કરવાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષથી છુટકારો મળી શકે છે. આ દિવસે ખાસ કરીને ઊનના કપડાંનું દાન કરવું જોઇએ. ભવિષ્ય, પદ્મ અને મસ્ત્ય પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન સાથે જ અનાજ અને વસ્ત્ર દાન પણ કરવું જોઇએ. આસો મહિનાની અમાસના દિવસે કરવામાં આવતું દરેક પ્રકારનું દાન અક્ષય ફળ આપનાર હોય છે.
પુરાણોમાં આસો અમાસ-
બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. સ્કંદ પુરાણ પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ગીતા પાઠ અને અનાજ દાન કરવું જોઇએ. સાથે જ, ભગવાન વિષ્ણુને તુલસી પણ ચઢાવવી જોઇએ. જેથી દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે. અનાજ દાન કરવાથી સુખ વધે છે. આવો વ્યક્તિ ચિરંજીવી હોય છે. અનાજ દાન કરવાથી હજારો ગાયોનું દાન કરવા જેટલું ફળ મળે છે.
મત્સ્ય પુરાણઃ અમાવસુ પિતૃના કારણે અમાસ નામ પડ્યું-
મત્સ્ય પુરાણના 14મા અધ્યાયની કથા પ્રમાણે પિતૃઓની એક માનસ કન્યા હતી. તેણે ખૂબ જ કઠોર તપસ્યા કરી. તેને વરદાન આપવા માટે વદ પક્ષની પાંચમ તિથિએ બધા પિતૃઓ આવ્યાં. તેમાં ખૂબ જ સુંદર અમાવસુ નામના પિતૃને જોઇને તે કન્યા આકર્ષિત થઇ ગઇ અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રકટ કરી. પરંતુ અમાવસુએ તેને ના પાડી દીધી. અમાવસુના ધૈર્યના કારણે તે દિવસની તિથિ પિતૃઓ માટે ખૂબ જ પ્રિય થઇ ગઇ. ત્યારથી જ અમાવસુ નામથી આ તિથિ અમાસ કહેવાઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.