આજે માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિ છે. આ દિવસે ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે મંગળવારનો સંયોગ હોવાથી આ વ્રતમાં થતી ભગવાન કાર્તિકેયની પૂજાનું શુભ ફળ વધી જશે. આ વ્રતનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે.
આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. આ દિવસે સૂરજ ઉગતા પહેલાં નાહવામાં આવે છે. ભગવાન શિવ અને કાર્તિકેયનું ધ્યાન કરવામાં આવે છે. શિવલિંગ ઉપર દૂધ અને ગંગાજળ ચઢાવીને પૂજા કરવામાં આવે છે. પૂજન સામગ્રી અને બીલીપત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાર્તિકેયને ખાસ કરીને ચંપાના ફૂલ ચઢાવવામાં આવે છે.
કાર્તિકેય મંગળના સ્વામી છે
ભગવાન કાર્તિકેય મંગળ ગ્રહના સ્વામી છે. તે શક્તિના અધિદવ છે અને દેવતાઓના સેનાપતિ પણ કહેવામાં આવે છે. ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર પણ છે. તેમના જ નામે સ્કંદ પુરાણ બનેલું છે. એટલે દર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ તેમની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે ચંપા ષષ્ઠીના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને વ્રત રાખવાની પરંપરા છે. જ્યોતિષના જાણકાર પણ મંગળને મજબૂત કરવા માટે આ દિવસે કાર્તિકેય પૂજા અને વ્રત કરવાની સલાહ આપે છે.
વ્રત અને પૂજાનું મહત્ત્વ
માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને તેમના કાર્તિકેયની પૂજા અને વ્રત કરવાથી ભક્તોના બધા પાપ નષ્ટ થઈ જાય છે, સંકટોમાંથી મુક્તિ અને સુખ-શાંતિ અને મોક્ષ મળે છે. માન્યતા છે કે ચંપા છઠ્ઠ વ્રત કરવાથી જીવનમાં પ્રસન્નતા જળવાયેલી રહે છે.
વ્રતની કથાઃ ચંપા છઠ્ઠની શરૂઆત કેવી રીતે થઈ, તેની પૌરાણિક માન્યતા શું છે, આ અંગે બે કથાઓનો ઉલ્લેખ છે
પેહલીઃ પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન કાર્તિકેય શિવ-પાર્વતી અને નાના ભાઈ ગણેશથી નિરાશ થયા અને કૈલાશ છોડીને જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનમાં જઈને રહેવાં લાગ્યા હતાં ત્યારે માગશર સુદ છઠ્ઠનો જ દિવસ હતો. ભગવાન કાર્તિકેયજીએ દૈત્ય તારકાસુરને માર્યો અને આ તિથિએ જ તેઓ દેવતાઓના સેનાપતિ બન્યા અને ભગવાન શિવને પ્રસન્ન કર્યાં હતાં. આ જ કારણે આ દિવસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
બીજીઃ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવજીએ મણિ-મલ્હ દૈત્ય ભાઈઓ સાથે છ દિવસ સુધી ખંડોબા નામના સ્થાને યુદ્ધ કર્યું અને બંને દાનવોને માર્યા હતાં. આ જગ્યાએ મહાદેવ શિવલિંગ સ્વરૂપમાં પ્રકટ થયાં. મણિ-મલ્હનો વધ કરવા માટે ભગવાન શિવજીએ ભૈરવ અને પાર્વતીએ શક્તિ સ્વરૂપ લીધું. આ કારણે મહારાષ્ટ્રમાં રૂદ્રાવતાર ભૈરવને માર્તંડ-મલ્લહારી અને ખંડોબા કહેવામાં આવે છે અને આ દિવસે ચંપા ષષ્ઠીનું પર્વ ઊજવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.