હાલ મહા મહિનાનો સુદ પક્ષ શરૂ છે. હવે તેમાં માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે. આ દિવસોમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પર્વ આવશે. જેમાં 12 ફેબ્રુઆરીએ એટલે આજે જયા એકાદશી, 13મીએ ભીષ્મ બારસ અને 16મીએ માઘી પૂર્ણિમા રહેશે. આ ત્રણેય પર્વમાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવામાં આવે છે. સાથે જ તીર્થ સ્નાન અને દાન કરવાની પરંપરા પણ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવી છે. મહા મહિનામાં કરવામાં આવેલ તીર્થ સ્નાનથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે. સાથે જ, જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી અનેકગણું શુભ ફળ મળે છે.
જયા એકાદશી (12 ફેબ્રુઆરી)- મહા મહિનાના સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. મહા મહિના દરમિયાન આ વ્રતને કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ દિવસે તલનું દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. વિદ્વાનો પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી મોક્ષ મળે છે.
ભીષ્મ બારસ (13 ફેબ્રુઆરી)- ભીષ્મ બારસ પર્વ મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ કરવામાં આવે છે. આ વ્રત ભીષ્મ પિતામહને નિમિત્ત કરવામાં આવે છે. આ દિવસે મહાભારતના ભીષ્મ પર્વનો પાઠ કરવામાં આવે છે. સાથે જ, ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. મહા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ ભીષ્મ પિતામહએ શરીર છોડ્યું હતું. પરંતુ તેમના માટે તર્પણ, શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક કર્મકાંડ બારસ તિથિએ કરવામાં આવશે.
મહા પૂનમ (16 ફેબ્રુઆરી)- મહા મહિનાના છેલ્લાં દિવસે જ્યારે ચંદ્ર મહા નક્ષત્રમાં સૂર્ય સામે સિંહ રાશિમાં હોય છે ત્યારે આ પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિએ તીર્થ-સ્નાન અને દાન કરવાનું મહત્ત્વ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે ભગવાનની પૂજા સાથે જ ઋષિઓ અને પિતૃઓને ખુશ કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ તીર્થ-સ્નાન અને તલના દાનથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.