આ મહિનાના છેલ્લાં દિવસે એટલે 30 જૂનથી ભક્તો બાબા અમરનાથના દર્શન કરી શકશે. આ વર્ષે જમ્મૂ-કાશ્મીરની અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી રહેશે. બાબા અમરનાથની ગુફાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગુફાની અંદર બરફના પાણીનાં ટીપા ટપકતા રહે છે, આ જ ટીપાથી લગભગ 10-12 ફૂટ ઊંચું બરફનું શિવલિંગ બની જાય છે. માન્યતા છે કે આ ગુફામાં શિવજીએ દેવી પાર્વતીને અમરતાનું રહસ્ય જણાવ્યું હતું.
અમરનાથ ગુફા સાથે જોડાયેલી ખાસ વાતો
અમરનાથ શિવલિંગની ઊંચાઇ ચંદ્રના વધ-ઘટ સાથે વધતી-ઘટતી રહે છે. પૂનમના દિવસે શિવલિંગ પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે, જ્યારે અમાસના દિવસે શિવલિંગનો આકાર થોડો નાનો થઇ જાય છે.
શ્રીનગરથી લગભગ 145 કિલોમીટર દૂર અમરનાથ ગુફા સ્થિત છે. આ ગુફા લગભગ 150 ફૂટ ઊંચી અને લગભગ 90 ફૂટ લાંબી છે. આ ગુફા લગભગ 4000 મીટર ઊંચાઇએ છે.
ગુફામાં શિવલિંગ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રૂપથી ચોક્કસ સમયગાળા માટે જ બને છે. અહીં શ્રીગણેશ, પાર્વતી અને ભૈરવના હિમખંડ પણ બની જાય છે.
બાબા અમરનાથ યાત્રા ઉપર જવા માટેના બે રસ્તા છે. એક પહેલગામથી અને બીજો સોનમર્ગ બાલટાલથી છે. દેશના કોઇપણ ક્ષેત્રથી પહેલગામ કે બાલટાલ પહોંચી શકાય છે. તે પછી પગપાળા યાત્રા કરવાની રહે છે. પહેલગામથી અમરનાથ જવાનો રસ્તો સુવિધાજનક હોય છે. જેનું અંતર 48 કિમી છે.
બાલટાલથી અમરનાથ ગુફાનું અંતર 14 કિમી છે, પરંતુ આ માર્ગ મુશ્કેલીઓથી ભરાયેલો છે. આ કારણે મોટાભાગના યાત્રીઓ પહેલગામના રસ્તે અમરનાથ જાય છે.
અમરનાથ ગુફા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા
પ્રાચીન સમયમાં દેવી પાર્વતી શિવજી પાસેથી અમરતાનું રહસ્ય જાણવા ઇચ્છતાં હતાં. ભગવાન શિવ જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઇ જઇ રહ્યા હતાં, ત્યારે તેમણે નાના-નાના સાપને અનંતનાગમાં મુક્ત કરી દીધા, માથાના ચંદનને ચંદનબાડીમાં ઉતારી દીધા, અન્ય પિસ્સુઓને(ચાંચડ) પિસ્સૂ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામના સ્થળ પર છોડી દીધા હતાં. આજે પણ આ બધા સ્થાન અમરનાથ યાત્રા દરમિયાન રસ્તામાં જોવા મળે છે. ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. માતા પાર્વતી સાથે જ આ રહસ્યને શુક (કબૂતર)એ પણ સાંભળ્યું હતું. ત્યાર બાદ તે કબૂતર શુકદેવ ઋષિ સ્વરૂપે અમર થઇ ગયું. ગુફામાં આજે પણ થોડાં શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડ જોવા મળે છે, જેને અમર પક્ષી માનવામાં આવે છે.
એક ચરવૈયાને સૌથી પહેલાં આ ગુફા જોવા મળી હતી
એક માન્યતા પ્રમાણે, અનેક વર્ષો પહેલાં આ ક્ષેત્રમાં એક ચરવૈયાને (ઢોર ચરાવનારો) કોઇ સંત જોવા મળ્યાં હતાં. સંતે ચરવૈયાને કોલસાથી ભરેલી એક પોટલી આપી હતી. જ્યારે ચરવૈયો તેના ઘરે પહોંચ્યો ત્યારે પોટલીની અંદરનો કોલસો સોનું બની ગયો હતો. આ ચમત્કાર જોઇને ચરવૈયો આશ્ચર્યચકિત થઇ ગયો અને સંતને શોધવા માટે ફરી તે સ્થાને પહોંચી ગયો. સંતને શોધતા-શોધતા તે ચરવૈયાને અમરનાથ ગુફા જોવા મળી હતી. જ્યારે ત્યાં રહેતાં લોકોએ આ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે અમરનાથ ગુફાને દૈવીય સ્થાન માનવા લાગ્યાં અને અહીં પૂજા શરૂ કરી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.