આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે. પરશુરામજીના કારણે જ વૈશાખ સુદ તૃતીયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતાં. માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશાં જીવિત રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પરશુરામ જન્મોત્સવમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની ખાસ પૂજા કરવી જોઈએ. અક્ષય તૃતીયાએ જળનું દાન ખાસ કરવું. પરશુરામની કથાઓ ત્રેતાયુગ અને દ્વાપર યુગ સાથે જોડાયેલી છે. ત્રેતાયુગમાં પરશુરામ અને શ્રીરામની મુલાકાત થઈ હતી. દ્વાપર યુગમાં પરશુરામ ભીષ્મ અને કર્ણના ગુરુ બન્યા હતાં.
શ્રીરામ અને પરશુરામ સાથે જોડાયેલી કથા
રામાયણમા સીતા સ્વયંવર સમયે શ્રીરામજીએ સ્વયંવરમાં રાખેલું શિવજીનું ધનૂષ ઉઠાવ્યું અને તેને પ્રત્યંચા ચઢાવવાની કોશિશ કરી ત્યારે તે તૂટી ગયું હતું. તે પછી પરશુરામ સ્વયંવર સ્થળે પહોંચ્યા અને શિવજીનું ધનૂષ તૂટેલું જોઈને ગુસ્સે થઈ ગયાં. તે પછી શ્રીરામજીએ પરશુરામને અહેસાસ કરાવ્યો કે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર જ છે, ત્યારે પરશુરામજીનો ગુસ્સો શાંત થયો અને તેઓ પાછા ફર્યાં.
કર્ણ સાથે જોડાયેલી ઘટના
મહાભારત પ્રમાણે ભીષ્મ પિતામહ પરશુરામજીના શિષ્ય હતાં. દ્વાપર યુગમાં પરશુરામજીએ સંપૂર્ણ પૃથ્વી કશ્યપ ઋષિને દાન કરી હતી. તેઓ પોતાના બધા અસ્ત્ર-શસ્ત્ર પણ માત્ર બ્રાહ્મણોને દાન કરી રહ્યા હતાં. અનેક બ્રાહ્મણ તેમની પાસે શક્તિઓ માગવા પહોંચી રહ્યા હતાં. દ્રોણાચાર્યે પણ તેમની પાસેથી થોડાં શસ્ત્ર લીધાં. કર્ણને પણ આ વાતની જાણ થઈ. કર્ણ બ્રાહ્મણ હતો નહીં, પરંતુ તે પરશુરામ પાસે શસ્ત્ર લેવા પહોંચી ગયો.
કર્ણ બ્રાહ્મણ વેશમાં પરશુરામને મળ્યો. તે સમય સુધી પરશુરામજીએ બધા શસ્ત્ર દાન કરી દીધા હતાં. છતાંય કર્ણની શીખવાની ઇચ્છાને જોતાં, તેમણે કર્ણને પોતાનો શિષ્ય બનાવી લીધો.
એક દિવસ પરશુરામજીએ જાણી લીધું કે કર્ણ બ્રાહ્મણ નથી અને ખોટું બોલીને મારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે તેમણે કર્ણને શ્રાપ આપ્યો હતો કે તે જરૂરિયાતના સમયે બધી વિદ્યા ભૂલી જશે. તે પછી મહાભારત યુદ્ધમાં કર્ણ અને અર્જુનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણ કોઈ દિવ્યાસ્ત્ર ચલાવી શક્યો નહીં. તે દિવ્યાસ્ત્રોનું જ્ઞાન ભૂલી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.