રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે, એટલે કે હવે રેપો રેટ વધીને 4.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માગને જોતાં આરબીઆઈ પોતાનું એકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી દીધો છે. આ નિર્ણય બાદ સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
છેલ્લાં બે વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિને યથાવત્ રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકમાં પોલિસી રેટને યથાવત્ રાખવામાં આવ્યો હતો. હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો હતો.
આ ફેક્ટર્સને કારણે મોંઘવારી નિયંત્રણની બહાર
આરબીઆઈએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધીને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીને કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે. આ સિવાય જિયોપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉં સહિત ઘણાં અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાય ચેન પર ખરાબ અસર પડી છે.
ઈકોનોમિક રિકવરી સુસ્ત
રિઝર્વ બેન્કે રેપો રેટની સાથે કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ 0.50 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર દાસે જણાવ્યું હતું કે વ્યાજદર વધવાનો નિર્ણય મધ્ય ગાળામાં ઈકોનોમિક ગ્રોથના પ્રોસ્પેક્ટને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે. ગ્લોબલ ઈકોનોમિક રિકવરી હવે સુસ્ત થવા લાગી છે. રિઝર્વ બેન્ક એમપીસીએ રેપો રેટ વધારવા સિવાય એકમોડેટિવ મોનિટરી પોલિસી સ્ટાન્સ જાળવી રાખવાનો નિર્ણય પણ કર્યો છે.
સામાન્ય લોકોનું બજેટ બગડ્યું
જોકે રેપો રેટ વધવાને કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય લોકોને હવે ઈએમઆઈ વધતાં વધારાનો બોજ સહન કરવો પડશે. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય પછી હોમ લોન અને કાર લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થશે. પરિણામે, ઈએમઆઈની રકમ વધી જશે.
ગયા મહિને પણ થઈ હતી MPCની બેઠક
નોંધનીય છે કે આ પહેલાં 8 એપ્રિલે નાણાકીય વર્ષ 2022-23 માટે રિઝર્વ બેન્કની પહેલી મોનિટરી પોલિસી રિવ્યૂ મીટિંગ થઈ હતી. એ સમયે રિઝર્વ બેન્કે રેકોર્ડ 11મી બેઠકમાં પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત્ રાખ્યા હતા. જોકે એ બેઠકમાં હવે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવશે એવા સંકેત પણ આપવામાં આવ્યા હતા. એ સમયે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોંઘવારી કોઈ મોટું રિસ્ક નથી. કેન્દ્રીય બેન્કનું ઈકોનોમિક્સ ગ્રોથ પર ફોક્સ છે.
નહીં મળે મોંઘવારીમાંથી રાહત- RBIને ડર
નાણાકીય વર્ષમાં મોંઘવારીનું પ્રેશર રહેવાની આશંકા છે. RBIના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2022-23માં મોંઘવારી દર 5.7% રહેવાનો અંદાજ છે. તેમણે ગયા મહિને જ જણાવ્યું હતું કે મોંઘવારી દર પહેલા ત્રિમાસિકમાં 6.3%, બીજા ત્રિમાસિક ગાળામાં 5%, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.4 અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.1% રહેવાનો અંદાજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.