અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને તહેવારોના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આજે જાહેર થયેલી યોજના હેઠળ કેન્દ્રના 1 કરોડથી વધુ કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) માટે કેશ વાઉચર આપવામાં આવશે. આ સિવાય ફેસ્ટિવલ એડવાન્સ યોજના હેઠળ કર્મચારીઓને રૂ. 10,000 સુધીની રકમ પણ મળશે.
શું છે LTC સ્કીમ?
આ અંતર્ગત સરકારી કર્મચારીને એક કેશ વાઉચર મળશે, જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને એનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે. LTCના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે એ 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડું ચૂકવવામાં આવશે અને એ કરમુક્ત રહેશે. આ માટે કર્મચારીનું ભાડું અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. એવી જ રીતે માલ અથવા સેવાઓ GSTમાં નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલી કરાવી પડશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે.
ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ
નાણામંત્રીએ માહિતી આપી હતી કે આ વર્ષે ફક્ત એકવાર ફરીથી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ પ્રકારના કર્મચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે, જે તેઓ 10 હપતામાં જમા કરાવી શકે છે. એ 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. એને પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે.
રાજ્યોને વગર વ્યાજે લોન આપશે
આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોને રૂ. 12 હજાર કરોડની વગર વ્યાજની લોન આપશે. આ લોન 50 વર્ષમાં પરત કરવાની રહેશે. તેના ત્રણ ભાગો હશે- પહેલો રૂ. 2500 કરોડ પૂર્વોત્તર, ઉત્તરાખંડ અને હિમાચલને આપવામાં આવશે. આ પછી, નાણાંપંચની ભલામણ મુજબ રૂ. 7500 કરોડ અન્ય રાજ્યોને આપવામાં આવશે. ત્રીજું, રૂ. 2,000 કરોડમાંથી એવા રાજ્યોને આપવામાં આવશે જે જાહેર થયેલી આત્મનિર્ભર યોજનાના ચારમાંથી ઓછામાં ઓછા 3નો અમલ કરશે. આ સંપૂર્ણ લોન 31 માર્ચ 2021 પહેલાં આપવામાં આવશે. આ રાજ્યો માટે પહેલેથી ઉપલબ્ધ લોન ઉપરાંત હશે.
યુનિયન ટેરેટરી, J&K, પૂર્વોત્તરમાં હવાઈ મુસાફરીની મર્યાદા લંબાવાઈ
અગાઉ કેન્દ્ર સરકારે નોર્થ ઇસ્ટના રાજ્યો, જમ્મુ અને કાશ્મીર (J&K), આંદામાન નિકોબાર અને લદ્દાખમાં LTC સ્કીમ હેઠળ હવાઈ મુસાફરી કરવાની મર્યાદા બે વર્ષ લંબાવીને 25 સપ્ટેમ્બર 2022 કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારના કોઈ પણ કર્મચારી આ સ્થળોએ હવાઈ માર્ગે જઈ શકાશે. આ સાથે જે કર્મચારીઓ એર ફેર માટે એલીજીબલ નહિ હોય તેઓને પણ આ સ્કીમનો લાભ મળશે. આવા કર્મચારીઓએ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.