EPF પર વ્યાજ:EPFO આવતી કાલે 2020-21 માટે વ્યાજ દરની જાહેરાત કરી શકે છે, આ વર્ષે વ્યાજ દર ઘટી શકે છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આવતી કાલે એટલે કે 4 માર્ચે નાણાકીય વર્ષ 2020-21 માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દરની જાહેરાત કરી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નો નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની આગામી બેઠક 4 માર્ચના રોજ શ્રીનગરમાં થવાની છે. આ બેઠકમાં વ્યાજ દરની જાહેરાત થઈ શકે છે.
વ્યાજ દર ઘટી શકે છે
એવું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ્સ પર વ્યાજ દર ઓછા થઈ શકે છે, જે 2019-20 માટે 8.5% હતા. કેમ કે, COVID-19ના કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો છે. 2019-20 માટે PF પર જે વ્યાજ દર હતા તે 2012-13 બાદના સૌથી નીચલા સ્તરે હતા. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5% વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો હતો. નાણાકીય વર્ષ 2018-19માં EPF અથવા PF પર 8.65% વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. કયા વર્ષે કેટલું વ્યાજ મળ્યું...
- નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15માં 8.75% હતો
- નાણાકીય વર્ષ 2015-16 માટે તે 8.80% હતો
- નાણાકીય વર્ષ 2016-17 માટે વ્યાજ દર 8.65% હતો
- નાણાકીય વર્ષ 2017-18 માટે 8.55% હતો
- નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65% હતો
ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજ મળે છે
નિયમના અનુસાર, સેલરી મેળવનાર લોકોએ તેમના વેતન અને મોંઘવારી ભથ્થાની 12% રકમ PF ખાતામાં યોગદાન કરવી જરૂરી છે. નિયોક્તા પણ કર્મચારીના PF અકાઉન્ટમાં આટલું જ યોગદાન આપે છે. જો કે, કંપનીનો હિસ્સો બે હિસ્સામાં વહેંચવામાં આવે છે. તેમાંથી 8.33% પેન્શન સ્કીમમાં જાય છે. તેમજ બાકીનો હિસ્સો PF ખાતામાં જાય છે. PF અકાઉન્ટમાં યોગદાન કરવામાં આવેલા યોગદાન પર કમ્પાઉન્ડિંગના આધારે વાર્ષિક વ્યાજ મળે છે.
હવે વ્યાજ પર ટેક્સ આપવો પડશે
બજેટ 2021-20માં EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. તેનાથી વધારે રોકાણ કરવા પર એડિશનલ અમાઉન્ટ પર ઈન્ટ્રેસ્ટથી થતી આવક પર ટેક્સ લાગશે. એટલે કે જો તમે 3 લાખ રૂપિયા વાર્ષિક ડિપોઝિટ કરો છો તો 50 હજાર પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારા ટેક્સ સ્લેબના દરથી ટેક્સ લાગશે. અત્યાર સુધી વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત હતી.