પિચના પ્રશ્ન પર જવાબ:વિરાટ કોહલીએ કહ્યું- ન્યૂઝીલેન્ડમાં અમે ત્રણ દિવસમાં હાર્યા ત્યારે કોઈ કઈ બોલ્યું નહીં; ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
- ઇન્ડિયા-ઇંગ્લેન્ડની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ટેસ્ટ 2 દિવસની અંદર સમાપ્ત થઈ જતાં પિચની ભારે ટીકા થઈ હતી
- કોહલીએ કહ્યું, સ્પિનિંગ વિકેટ્સ વિશે વધારેપડતી ચર્ચા થઈ રહી છે. મીડિયાએ એક વ્યૂ પ્રેઝન્ટ કરવો જોઈએ કે સબકોન્ટિન્ટમાં સ્પિનને મદદ કરતી વિકેટ્સ વાજબી છે
- કોહલીએ કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં ગરમી વધી છે અને મેચમાં એની ઇમ્પૅક્ટ રહેશે
ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના એક દિવસ પહેલાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે સ્પિનિંગ વિકેટ્સ વિશે વધારેપડતી ચર્ચા થઈ રહી છે. આપણા મીડિયાએ એક વ્યૂ પ્રેઝન્ટ કરવો જોઈએ કે સબકોન્ટિન્ટમાં સ્પિનને મદદ કરતી વિકેટ્સ વાજબી છે. તમે જ કહો ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
કોહલીએ વધુમાં કહ્યું હતું કે અમે ન્યૂઝીલેન્ડમાં 3 દિવસની અંદર હારી ગયા ત્યારે કોઈએ પિચ અંગે વાત નહોતી કરી. ભારતીય ટીમની તાકાત છે કે અમે ટીમ તરીકે પોતાના પર ફોકસ કરીએ છીએ અને પિચને હાઇલાઇટ કરતા નથી. એક બેટ્સમેન તરીકે મારું કામ રન બનાવી ટીમને મેચ જિતાડવાનું અને ઇન્ડિયન ક્રિકેટને આગળ લઈ જવાનું છે.
બંને ટીમના બેટ્સમેનો દેખાવ ખરાબ રહ્યો હતો
તેણે વધુમા કહ્યું હતું કે મને ખબર નથી પડતી કે ત્રીજી ટેસ્ટ પછી બોલ અને પિચ બાબતે આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે. મેચમાં બંને ટીમના બેટ્સમેનોએ ખરાબ દેખાવ કર્યો હતો. પિચ ખરાબ હતી તેવું નહોતું, પરંતુ બેટ્સમેન પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. તેઓ પોતાની સ્કિલનો ઉપયોગ કરી શક્યા નહોતા. આગામી મેચ વિશે કોહલીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં ગરમી વધી છે અને મેચમાં એની ઇમ્પૅક્ટ રહેશે.
પૂજારાને ખબર છે તેએને શું કરવાનું છે
કોહલીએ કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારા સારી રીતે જાણે છે કે ટીમમાં તેનો રોલ શું છે. અગાઉ વિદેશમાં ખરાબ દેખાવ બદલ તેની ટીકા થતી હતી. હવે તેણે ત્યાં સારું પ્રદર્શન કર્યું. ઘરઆંગણે થોડાક ખરાબ પ્રદર્શન બદલ બધા તેને ક્રિટિસાઈઝ કરી રહ્યા છે. મેં પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહું છું ટેસ્ટ ક્રિકેટમાં પૂજારા અને અજિંક્ય રહાણે અમારા બે સૌથી મહત્ત્વના બેટ્સમેન છે.
કુલદીપ સારી રિધમમાં છે
કોહલીએ કહ્યું હતું, કુલદીપ યાદવ અત્યારે બહુ સારી બોલિંગ કરી રહ્યો છે, તે આવી રિધમમાં અગાઉ ક્યારેય નહોતો. જોકે ટીમ કોમ્બિનેશનને લીધે તેને પ્લેઈંગ-11માં સ્થાન મળી રહ્યું નથી. અક્ષર પટેલ અને વી. સુંદર બંનેમાં અનુભવનો અભાવ હોવાથી અમે એક્સ્ટ્રા બેટિંગ ઓપ્શન સાથે રમવા માગીએ છીએ. તેથી કુલદીપને પ્લેઈંગ-11માં સ્થાન મળી રહ્યું નથી.