એનઆરજી ડેસ્કઃ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા-આઇના દ્વારા યોજાયેલા 'ચાલો ઇન્ડિયા' કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી લાઇવ કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત વાઇબ્રન્ટ સમિટની આઠ શ્રૃંખલાના પગલે ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. જેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરની સુવિધાઓ, ટેક્નોલોજીનો જનસેવામાં વ્યાપક વિનિયોગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને છેવાડાના માનવ સુધી શિક્ષણ, આરોગ્ય, પાણી-આવાસ પહોંચાડીને ગુજરાત આજે વિકાસના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ અમેરિકામાં વસતા ભારતીયો-ગુજરાતીઓની આત્મીયતા, ભારતીયતા અને રાષ્ટ્રીયતાની પ્રશંસા કરી હતી.
ગુજરાતે દસે દિશાએ વિકાસના પરચમ લહેરાવ્યા
- મુખ્યમંત્રીએ જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ હબ બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝીરો ડિફેકટ, ઝીરો મેનડેઇઝ લોસ, ઝીરો પાવર કટ, શિક્ષણમાં ઝીરો ડ્રોપ આઉટ રેઇટ તેમજ કોમી હુલ્લડો અને આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ગુજરાતે દશે દિશાએ વિકાસના પરચમ લહેરાવ્યા છે.
- આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની ભૂમિની બે વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવન કવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આગામી બે ઓકટોબરથી 150મી ગાંધી જ્યંતિની ઉજવણી દેશ અને રાજ્યમાં થવાની છે.
- તેઓએ જણાવ્યું કે, આ ઉજવણીમાં ગાંધી વિચાર-આચારના મૂલ્યોને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થાનો સાથે જોડીને જનસહયોગથી ઊજાગર કરાશે. સાથે જ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે નર્મદા બંધ સ્થળે નિર્માણથી વિશ્વ ગૌરવ અપાવવાની ભૂમિકા આપી હતી.
- મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે થવાનું છે તેની ઉમંગ ઉજવણીમાં સહભાગી થવા અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોને નિમંત્રણ પાઠવ્યુ હતું.