બજેટ વેબિનારમાં PM:નરેન્દ્ર મોદીએ કહ્યું- ભારતીય ટેલન્ટની માગ સમગ્ર દુનિયામાં; નવી શિક્ષણનીતિથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂતાઈ મળશે
- ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે
- નવી શિક્ષણનીતિ દ્વારા દેશના તમામ યુવાઓ વધુ મજબૂત બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એજ્યુકેશન મંત્રાલય તરફથી આયોજિત બજેટ વેબિનારમાં યુવાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 'ભારતીય ટેલન્ટની માગ આજે સમગ્ર દુનિયામાં છે. ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે.'
દેશને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર
વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે યુવાઓને આત્મવિશ્વાસની જરૂર હોય છે. તેો સીધી રીતે એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને રિસર્ચ સાથે જોડાયેલા છે. નવી શિક્ષણનીતિમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નીતિ દ્વારા દેશના તમામ યુવા મજબૂત થશે. વડાપ્રધાને કહ્યું હતું કે 'આજનું આ મંથન એવા સમયમાં થઈ રહ્યું છે, જ્યારે દેશ પોતાના વ્યક્તિગત, બૌદ્ધિક, ઔધોગિક સ્વભાવ અને ટેલન્ટને દિશા આપનાર સમગ્ર ઇકોસિસ્ટમમાં પરિવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે.'
શું કહ્યું વડાપ્રધાને?
- ગયાં વર્ષોમાં શિક્ષણને રોજગાર અને ઉદ્યમશીલતાની ક્ષમતા સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ બજેટ એને વધુ વિસ્તાર આપી રહ્યું છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે આજે વૈજ્ઞાનિક પ્રકાશનના મામલામાં ભારત ટોપ-3 દેશોમાં આવી ચૂક્યું છે.
- પ્રથમ વખત દેશમાં સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબ (Atal Tinkering Labs)થી લઈને ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ (Atal Incubation Centers) પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
- દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે હેકથોનની નવી પરંપરા શરૂ થઈ છે, જે દેશના યુવાઓ અને ઈન્ડસ્ટ્રી બંને માટે મોટી તાકાત બની રહ્યું છે.
- નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ હેઠળ 3500થી વધુ સ્ટાર્ટઅપનો વિકાસ કરવામાં આવ્યો છે.
- જ્ઞાન અને સંશોધનને મર્યાદામાં રાખવાં એ રાષ્ટ્ર સાથે અન્યાય છે. આ માનસિકતા સાથે અમે આપણા યુવાનો માટે કૃષિ, અવકાશ, પરમાણુ ઊર્જા અને DRDO જેવાં ઘણાં ક્ષેત્રો ખોલી રહ્યાં છીએ.