કોરોના દેશમાં:રાષ્ટ્રપતિ કોવિંદે દિલ્હીની RR હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન મુકાવી, નાગપુરમાં વેક્સિનેશન માટે વૃદ્ધોની ભીડ ઉમટી પડી
- છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ દર્દીઓ નોંધાયા
- હરિયાણાના કરનાલમાં એક સ્કૂલની હોસ્ટેલમાં 54 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દિલ્હીની RR હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમની સાથે તેમની પુત્રી ઉપસ્થિત રહી હતી. આ જાણકારી રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ તમામ આરોગ્ય કર્મચારીઓ, ડોકટરો અને નર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
15 રાજ્યોમાં પોઝિટિવિટી દર 5%થી પણ વધુ
દેશમાં કોરોના દર્દીઓ મળવાની ગતિ ઝડપી બની રહી છે. 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં છે, જ્યાં પોઝિટિવિટી રેટ એટલે કે દર્દીઓના મળવાની ગતિ 5% કરતાં વધુ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13.2% પોઝિટિવિટી દર છે. આ ઉપરાંત ગોવામાં 11.1%, નાગાલેન્ડમાં 9.3% અને કેરળમાં 9.2%ની ઝડપે કેસ સામે આવી રહ્યા છે.
મૃત્યુદરની વાત કરીએ તો પંજાબ આ બાબતમાં સૌથી આગળ છે. અહીં દર 100 કોરોના દર્દીઓમાંથી લગભગ ત્રણ લોકો મૃત્યુ પામી રહ્યા છે. મૃત્યુદર અહીં સૌથી વધુ 3.2% છે. બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 2.4%ની ઝડપે લોકો જીવ ગુમાવી રહ્યા છે. સિક્કિમમાં 2.2% અને પશ્ચિમ બંગાળમાં 1.8% મૃત્યુદર નોંધાયો છે.
બિહાર સહિત 5 રાજ્યમાં 99%થી વધુ રિકવરી
કોરોના દર્દીઓમાં ઝડપની વચ્ચે જ એક રાહત મળવાના સમાચાર છે. દેશમાં 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં 99%થી વધુ દર્દીઓ સાજા થયા છે. આમાં બિહાર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઓડિશા અને આંધ્રપ્રદેશ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 99.7% દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
24 કલાકમાં 14 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા
મંગળવારે દેશભરમાં 14 હજાર 997 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 13 હજાર 113 લોકો સ્વસ્થ થયા અને 98 લોકોનાં મોત નીપજ્યાં. અત્યારસુધીમાં 1 કરોડ 11 લાખ 39 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 1 કરોડ 8 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 57 હજાર 385 દર્દી મૃત્યુ પામ્યા છે, જેમાં 1 લાખ 67 હજાર 183 દર્દી સારવાર લઈ રહ્યા છે.
કોરોનાં અપડેટ્સ
- હરિયાણાના કરનાલમાં એક સ્કૂલની હોસ્ટેલમાં 54 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કરનાલના સિવિલ સર્જન યોગેશકુમાર શર્માએ મંગળવારે કહ્યું હતું કે અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હોસ્ટેલને કન્ટેન્મેન્ટ ઝોન બનાવવામાં આવ્યું છે.
- એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મહિલાઓ કોરોનાની વેક્સિન પર વધારે વિશ્વાસ રાખે છે. ભારત ઉપરાંત ફિલિપિન્સ અને કેટલાક લેટિન અમેરિકન દેશોમાં રહેતી મહિલાઓએ કોરોનાની વેક્સિન પર ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સર્વે 16 દેશોની સગર્ભા સ્ત્રીઓમાં કરવામાં આવ્યો હતો. એમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ધરાવનારી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મહિલાઓએ પોતાનાં બાળકોને પણ વેક્સિન લગાવવા પર સહમતી દર્શાવી હતી. આ સર્વે હાર્વર્ડ ટી.એચ. ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો.
- મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું મંગળવારે અવસાન થયું હતું. કોરોના સંક્રમણ લાગ્યા બાદ 5 ફેબ્રુઆરીએ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
6 રાજ્યની પરિસ્થિતિ
1. મહારાષ્ટ્ર
મંગળવારે રાજ્યમાં 7,863 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 6332 લોકો સાજા થયા અને 54 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 21 લાખ 69 હજાર 330 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 20 લાખ 36 હજાર 790 લોકો સાજા થયા છે, જ્યારે 52 હજાર 238 દર્દીએ જીવ ગુમાવ્યો છે. અહીં 79 હજાર 93 દર્દી સારવાર લઈ રહ્યા છે.
2. કેરળ
મંગળવારે રાજ્યમાં 2,938 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 3512 લોકો સાજા થયા અને 16 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 64 હજાર 280 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 10 લાખ 12 હજાર484 લોકો સાજા થયા છે, જ્યારે 4227 દર્દી મૃત્યુ પામ્યા છે. 47 હજાર 274 દર્દી સારવાર લઇ રહ્યા છે.
3. મધ્યપ્રદેશ
મંગળવારે રાજ્યમાં 331 કેસ નોંધાયા હતા. 259 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં 2 લાખ 62 હજાર 433 લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાંથી 2 લાખ 55 હજાર 595 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3865 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અહીં 2973 દર્દી સારવાર લઈ રહ્યા છે.
4. રાજસ્થાન
મંગળવારે રાજ્યમાં 102 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 66 લોકો સ્વસ્થ થયા. અહીં અત્યારસુધીમાં 3 લાખ 20 હજાર 557 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. 2787 દર્દી મૃત્યુ પામ્યા હતા. હાલમાં 1340 દર્દી સારવાર લઈ રહ્યા છે.
5. ગુજરાત
મંગળવારે રાજ્યમાં 454 કેસ નોંધાયા હતા. 361 લોકો સાજા થયા. અત્યારસુધીમાં 2 લાખ 70 હજાર 770 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 2 લાખ 63 હજાર 837 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4411 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. અહીં 2522 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
6. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે 217 નવા કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. 78 લોકો સ્વસ્થ થયા. અત્યારસુધીમાં 6 લાખ 39 હજાર 681 દર્દીઓને કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 6 લાખ 27 હજાર 227 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 911 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 1543 દર્દી સારવાર હેઠળ છે.
