સેક્સસીડીકાંડ:કર્ણાટક સરકારના મંત્રીએ રાજીનામું આપ્યું, નોકરીના બદલામાં મહિલાના યૌનશોષણનો આરોપ
- સેક્સસીડીકાંડના આરોપમાં કર્ણાટક સરકારના મંત્રી રમેશ જારકિહોલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
- રમેશ જારકીહોલીએ પોતાના રાજીનામામાં કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો સત્યથી ઘણા દૂર છે
સેક્સસીડીકાંડમાં ફસાયેલા કર્ણાટક સરકારના મંત્રી રમેશ જારકિહોલીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. વિવાદ દરમિયાન આજે બુધવારે રમેશે તેમનું રાજીનામું મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને મોકલ્યું છે.
રમેશે તેમના રાજીનામામાં કહ્યું છે કે મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે એ સત્યથી ઘણા દૂર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું મામલે નિર્દોષ સાબિત થઈશ, પરંતુ હાલ નૈતિકતાના આધારે મેં રાજીનામું આપી દીધું છે. આ સિવાય રમેશે કહ્યું છે કે આ એક ફેક વીડિયો છે. હું આ મહિલા અને ફરિયાદ કરનારી વ્યક્તિને ઓળખતો પણ નથી. હું હાઈકમાન સાથે વાત કરીને કથિત આરોપવાળા આ વીડિયોની સ્પષ્ટતા કરીશ. મંત્રીએ એવું પણ કહ્યું છે કે જો તેમના પર આરોપો સાબિત થશે તો તેઓ રાજકારણ પણ છોડી દેશે.
શું છે આ સીડીમાં?
મંગળવારે કર્ણાટકના જળ સંસાધનમાં મંત્રી રમેશ જારકિહોલી પર યૌનશોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સીડીમાં મંત્રી એક મહિલાને યૌન સંબંધ બાંધવાનું કહેતા જોવા મળી રહ્યા છે. સેક્સકાંડી આ સીડી મંગળવારે મીડિયાની સામે આવી છે. એક સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીએ આ વિશે બેંગલુરુ શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પીડિતાની સુરક્ષાની માગણી કરી છે.
રમેશ પર આરોપ છે કે કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં મહિલાને નોકરી આપવાના બહાને તેનું યૌનશોષણ કરવામાં આવતું હતું. આ સંબંધિત સીડી સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ જાહેર કરી હતી.
કર્ણાટકમાં કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો
આ સેક્સકાંડની સીડી સામે આવ્યા પછી કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી રાજીનામાની માગણી કરવામાં આવતી હતી અને કાયદાકીય પગલાં લેવાનું કહ્યું હતું.
કોણ છે રમેશ જારકિહોલી
રમેશ રાજ્યમાં સૌથી શક્તિશાળી રાજકીય પરિવારમાંના એક છે. એ ઉપરાંત તેઓ એક મોટા વેપારી પણ છે. તેઓ કોંગ્રેસ અને જેડીએસના 17 પક્ષપલટુમાંના એક ધારાસભ્ય છે, પક્ષપલટો કરવાને કારણે 2019માં રાજ્યની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગી હતી.
ડેપ્યૂટી CMએ કહ્યું- હની ટ્રેપ અને બ્લેકમેલિંગનું કાવતરું તો નથી?
રાજ્યના ડેપ્યુટી સીએમ સીએન અશ્વથ નારાયણે કહ્યું- અમારી સામે ઘણી વાર એવા કેસ આવે છે જેમાં કાવતરાં અંતર્ગત હનીટ્રેપ અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. પૂરતી તપાસ પછી જ આ કેસમાં તથ્ય સામે આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જો આ વાત સાચી છે તો બહુ શરમ જનક છે
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું છે કે, હાલ અમે કોઈ પરિણામ પર ના આવી શકીએ. અમારે સત્ય જાણવાની જરૂર છે. જો આ સાચી વાત છે તો એ બહુ શરમજનક છે. નેતાઓને નૈતિકરીતે જ સાચા હોવાની જરૂર છે. આ જ ભાજપની નીતિ છે. આ મામલે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંત્રીનું રાજીનામું લઈને FIR નોંધાવાની માંગણી કરી હતી.