કોંગ્રેસના સૂપડા સાફ:કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના પુત્રોનો કારમો પરાજય, નેતાઓના સગા સંબંધીઓ પણ જીતી ના શક્યા
- અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પોરબંદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા
- પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ બંને બેઠકો પર હારી ગયાં
- આણંદના ધારાસભ્ય પૂનમ પરમારના પુત્ર વિજય પરમાર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા
રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ અગ્રેસર છે. ત્યારે પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ હાર થઈ છે. પેટલાદ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં ઉમેદવારી કરનારા ધારાસભ્ય નિરંજન પટેલનો બંને બેઠકો પર પરાજય થયો છે. બીજી બાજુ આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારની કારમી હાર થઈ છે.
પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. ઉત્તરગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે. અરવલ્લી જિલ્લાના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની પણ હાર થઈ છે.
કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો
2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યાં છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજીતરફ આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે.સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે.
સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં AAPની એન્ટ્રી થઈ
સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં AAPની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે "આપ" આગળ છે. બીજીતરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં "કમળ" ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યા છે.
રાજ્યમાં ભાજપની વિજયકૂચ
28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.