હેલ્થ:53 વર્ષીય સલીલ અંકોલાને કોરોનાને કારણે વેન્ટિલેટર પર મૂકવા પડ્યા હતા, કહ્યું- આ બહુ જ ડરામણો સમય છે
ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલા કોરોના પોઝિટિવ છે અને મુંબઈની જોગેશ્વરી સ્થિત એક હોસ્પિટલ એડમિટ છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની હેલ્થ અંગે વાત કરતાં કહ્યું હતું, 'આ બહુ જ ડરામણો સમય છે. આશા છે કે આગામી 7 દિવસમાં હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈશ.' અંકોલાના મતે હોસ્પિટલમાં જ્યારે તેઓ એડમિટ થયા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
કેવી રીતે કોવિડ 19 પોઝિટિવ હોવાની વાત સામે આવી?
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અંકોલાએ કહ્યું હતું, 'હું જયપુર જવાનો હતો. આ પહેલાં મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો અને નવાઈની વાત એ છે કે તે પોઝિટિવ આવ્યો.' ત્યારબાદ સલીલ અંકોલાએ જયપુરની ટ્રિપ કેન્સલ કરીને ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડાં દિવસ બાદ તેમની તબિયત બગડી હતી અને તેમને છાતીમાં દુખાવો થતો હતો. તેમની પત્ની રિયાએ ડૉક્ટરને બોલ્યા અને નક્કી કર્યું કે તેમણે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.
ઓક્સિજન લેવલ 80 થઈ ગયું હતું: અંકોલા
અંકોલાએ આગળ કહ્યું હતું, 'મારું ઓક્સિજન લેવલ 80 થઈ ગયું હતું. હું ઓલ ક્યોર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જોગેશ્વરી ગયો. હું શ્વાસ લઈ શકતો નહોતો. હોસ્પિટલમાં મને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ સવારે પાંચ વાગે હું દાખલ થયો. મને ઉધરસ તથા તાવ હતો. કોવિડને કારણે ન્યૂમોનિયા થઈ ગયો છે.' અંકોલાએ ટાઈમ્સ સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી, કારણ કે હજી પણ તેમને બહુ જ ઉધરસ આવે છે અને તે સહજતાથી વાત કરી શકે તેમ નથી.
1 માર્ચે 53મો જન્મદિવસ
સલીલ અંકોલાનો પહેલી માર્ચના રોજ 53મો જન્મદિવસ હતો. તેમણે જન્મદિવસના એક દિવસ પહેલાં સો.મીડિયામાં કોવિડ પોઝિટિવ હોવાની વાત શૅર કરીને કહ્યું હતું, 'કોવિડ 19' પોઝિટિવ હોવાને કારણે ક્યારેય ના ભૂલી શકાય તેવો જન્મદિવસ. આ સમયને પસાર કરવો ભયાવહ છે. જોકે, આમાંથી બહાર આવવા માટે તમારી દુઆઓની જરૂર છે. ટૂંક સમયમાં કમબેક કરીશ.'
સલીલ અંકોલાના કરિયર પર એક નજર
સલીલ અંકોલાએ 'કુરુક્ષેત્ર', 'પિતા', 'રિવાયત' તથા 'તેરા ઈન્તઝાર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 'કોરા કાગઝ', 'કહતા હૈ દિલ', 'CID', 'સાવિત્રીઃ એક પ્રેમ કહાની' તથા 'કર્મફલ દાતા શનિ' જેવી સિરિયલમાં કામ કર્યું છે. રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં પણ જોવા મળ્યા હતા. ક્રિકેટની વાત કરીએ તો 20 વર્ષની ઉંમરમાં ક્રિકેટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 28ની ઉંમરમાં ટ્યૂમર હોવાને કારણે આ ફિલ્ડ છોડ્યું હતું. 1996ના વર્લ્ડકપમાં સલીલ અંકોલા ભારત તરફથી રમ્યા હતા.