આપવીતી:અંકિતા લોખંડે ટ્રોલિંગથી હેરાન થઈને બોલી, 'હું પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકી છું, બહુ જ ખરાબ સમય જોયો છે પરંતુ કોઈને કહ્યું નહીં'
બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ સોમવાર, 1 માર્ચના રોજ સો.મીડિયામાં લાઈવ આવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અંકિતાને દિવંગત એક્ટર સુશાંતના ચાહકો સતત ટ્રોલ કરે છે અને આ વાતથી તે મુશ્કેલીમાં છે. અંકિતાએ હવે જ્યારે પણ ફોટો કે વીડિયો શૅર કરે છે તો સુશાંતના ચાહકો તેને ખરું-ખોટું સંભળાવે છે. અંકિતા આ વાતથી ઘણી જ દુઃખી છે. સુશાંતનું ગયા વર્ષે 14 જૂનના રોજ મોત થયું હતું. સુશાંત કેસની તપાસ CBI કરે છે.
અંકિતા ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકી છે
અંકિતાએ સો.મીડિયામાં લાઈવ સેશનમાં આવીને કહ્યું હતું, 'હું પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકી છે. જોકે, મેં ક્યારેય આ વાત શૅર કરી નથઈ. હું પણ બહુ જ ખરાબ હાલતમાં હતી. મને પણ તકલીફ થઈ હતી. હું પણ રડી હતી. ત્યારે મારી સાથે કોઈ નહોતું, પરંતુ મારો પરિવાર હતો. મારા કેટલાંક ચાહકો જે આજે પણ મારી સાથે ઊભા છે.'
અંકિતાએ સુશાંતના ચાહકોને અપીલ કરી હતી કે તેના પર આંગળી ચિંધવામાં ના આવે, કારણ કે તેઓ તેની પૂરી વાત જાણતા નથી. અંકિતાએ કહ્યું હતું, 'બધાના જીવનમાં પોત-પોતાનુ મોટિવ હોય છે. સુશાંત હંમેશાં જીવનમાં આગળ વધવા માગતો હતો અને તેણે તે કર્યું. તે પોતાના રસ્તે જતો રહ્યો. તેના માટે હું કેવી રીતે ખોટી સાબિત થઈ? મને કેમ ગાળો ભાડવામાં આવે? મેં શું ખોટું કર્યું? તમે લોકો મારી વાત પૂરી જાણતા નથી તો મને બ્લેમ કરવાનું બંધ કરો. આ બહુ જ દર્દનાક હોય છે.'
અંકિતાએ આગળ કહ્યું હતું, 'મને દોષ આપવાનું બંધ કરો, કારણ કે હું ક્યાંય સીનમાં નથી. હું આટલા વર્ષોથી કોઈના જીવનમાં નહોતી. જોકે, મારી જવાબદારી તેની તરફ હતી અને મેં તે સારી રીતે પૂરી કરી. જો તમને હું પસંદ નથી તો મને ફોલો કરવાનું બંધ કરો.'
અંકિતા-સુશાંત 6 વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યાં હતાં
અંકિતા તથા સુશાંત ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'ના સેટ પર નિકટ આવ્યા હતા. છ વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યા બાદ 2016માં બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ સુશાંતના સંબંધો રિયા ચક્રવર્તી સાથે બંધાયા હતા અને બંને લિવ ઈનમાં રહેતા હતા. અંકિતા મુંબઈના બિઝેસમેન વિકી જૈનને ડેટ કરવા લાગી. લૉકડાઉનમાં બંનેએ સગાઈ કરી હોવાની ચર્ચા છે. માનવામાં આવે છે કે બંને આ વર્ષે લગ્ન કરશે.