હૈદરાબાદ: તેલંગણામાં હૈદરાબાદ શહેરમાં ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિધ્ધંતી પ્રતાપે લગ્ન ન થવાને લીધે રાજીનામુ આપી દીધું છે. સિધ્ધંતીના નોકરીના કલાક વધારે હોવાને કારણે છોકરીવાળાએ સંબંધ કરવાની ના પાડી દીધી હતી. કમિશનરને લખેલા લેટરમાં પોતાના રાજીનામાં માટે કોન્સ્ટેબલે નોકરીના વધારે કલાક, કોઈ રજાનો દિવસ નહીં અને દેખાડા પૂરતા પ્રમોશનને જવાબદાર ગણાવ્યું છે.
કોન્સ્ટેબલને પ્રમોશન મળ્યું નથી
લેટરમાં સિધ્ધંતીએ લખ્યું છે કે, પોલીસની નોકરી ઘણી કપરી હોય છે, તે વાત સૌ કોઈને ખબર છે. મેં એન્જિનિયરિગમાં ગ્રેજ્યુએશન કર્યા પછી વર્ષ 2014માં પોલીસની નોકરી જોઈન કરી હતી. પાંચ વર્ષથી મને કોઈ પ્રમોશન મળ્યું નથી. મેં જોયું છે કે એએસઆઈ, એસઆઈ જેવી ઊંચી પોસ્ટના અધિકરીઓને જલ્દી પ્રમોશન મળી જાય છે. કોન્સ્ટેબલના રૂપે નોકરી જોઈન કરતા લોકો એકની એક પોસ્ટ પરથી જ 30-40 વર્ષ પછી રિટાયર્ડ થઈ જાય છે. આ કારણે મારે કોન્સ્ટેબલની નોકરી કરવી નથી.
'24 કલાકની નોકરીમાં ક્યારેય રજા મળતી નથી'
સિધ્ધંતીએ કહ્યું કે, ઘણા પૂર્વ અધિકારીઓ કહે છે કે, સરકાર કોન્સ્ટેબલને સારી સેલેરી આપે છે. પણ આ નોકરી 24 કલાકની છે, તેમાં કોઈ વીક ઓફ આવતો નથી કે કોઈ રજા મળતી નથી. ડ્યુટી કરતાં વધારે સમય માટે અમને નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. કોન્સ્ટેબલને કોઈ પ્રમોશન મળતું નથી. આ નોકરીને કારણે કોઈ પરિવાર તેમની દીકરીને મારી સાથે પરણાવવા પણ તૈયાર નથી. આવી નોકરીને કારણે મેં રાજીનામું આપ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.