ચૈત્રી પૂનમે ભવ્ય શોભાયાત્રા આસો અને ચૈત્રી પૂનમે રાત્રે ૯.૩૦ કલાકે નિજ સ્થાનકેથી મા બહુચરની ભવ્ય શોભાયાત્રા શંખલપુર પ્રસ્થાન કરે તે સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવે છે. ‘બોલ માડી બહુચર જય જય બહુચર’ના ગગનભેદી નારા લગાવી શોભાયાત્રા શંખલપુર પહોંચતાં મૈયાનું પરંપરાગત સ્વાગત કરાય છે. ત્યાર બાદ નિજ મંદિરમાં પૂજા-અર્ચના થાય છે. ત્યાંથી ગામની પ્રદક્ષિણા કરી શોભાયાત્રા મોડી રાત્રે બહુચરાજી પધારે છે.
ભારતવર્ષની બાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠો પૈકીની એક બાલા ત્રિપુરાસુંદરી મા બહુચરની પાવન ઉપસ્થિતિને કારણે દેશ-દેશાવરમાં જાણીતું તીર્થધામ બહુચરાજી વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે સન ૧૭૮૩માં ગાયકવાડી રાજ્યકોષમાંથી બનાવડાવ્યું હતું.
શ્રી બાલા ત્રિપુરીસુંદરીનું પ્રાગટ્ય
સુધાસિંધુમાં મણિદ્વીપ પરના ચિંતામણિ ભુવનમાં બિરાજમાન માતા જગદંબા અસુરોનો વિનાશ કરી ત્યાંથી નીકળી ધર્મારણ્યમાં ‘ચુંવાળ પંથક’ પ્રદેશમાં આવી વસ્યાં. અહીં તેઓ બાલા ત્રિપુરા કે બાલા બહુચરા નામે ઓળખાયાં. શ્રી બહુચર માતા ચતુભુર્જધારી છે અને તે તેમનાં આયુધો સાથે કૂકડાના વાહન પર બિરાજેલાં છે.
પ્રાચીન કાળમાં ચુંવાળ પ્રદેશમાં ‘બોરુવન’ નામે જંગલ હતું. તેમાં દંઢાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તેના પૂર્વજ ધ્રૂમલોચનનો વધ કરનાર જગદંબાને જોવાની અને તેમની સાથે યુદ્ધ કરવાની આકાંક્ષાથી દંઢાસુરે શિવજીનું તપ કરી પ્રસન્ન કર્યા. શિવજીએ ઈચ્છિત વચનની આપૂર્તિ માટે પરામ્બા શક્તિ બાલારૂપે પ્રગટ થશે અને તારી નજરે પડશે તેવું વરદાન આપ્યું. પછી દંઢાસુરે ત્રાસ વર્તાવાનું શરૂ કર્યું.
દેવતાઓ પણ ત્રાસી ગયા. તેમણે જગદંબાની સ્તુતિ કરી અસુરનો વધ કરવા વિનંતી કરી. જગદંબાએ દંઢાસુરનો નાશ કરવા માટે શિવજીના વરદાન અનુસાર હું બાલારૂપે પ્રગટ થઈશ. પૂર્વે દક્ષની કન્યા સતીના દેહનું ખંડન થતાં તેમના હાથનો અવયવ જયાં પડ્યો હતો તે સરસ્વતી ક્ષેત્ર ધર્મારણ્ય ક્ષેત્રમાં મારું પીઠસ્થાન થશે. હું ત્યાં શ્રી બાલા બહુચરા નામથી પ્રગટ થઈ તમારું દુ:ખ દૂર કરીશ. બાદમાં મા બહુચરાએ દંઢાસુર સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. આ રીતે દેવીએ દેવોને ભયમુક્ત કર્યા.
શંખલપુર નજીકના વરખડીના વનમાં યુદ્ધનો થાક ઉતારી દેવીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ શમાવી દીધું. આજે પણ શંખલપુરમાં શ્રી માતાજીનાં પગલાંનું પૂજન થાય છે. પૂર્વના બાલા સ્વરૂપ ધારણ કરીને માતાજી વરખડીવાળા મૂળસ્થાને પધાર્યાં. બીજું પ્રાગટ્ય શ્રી કપિલ ભગવાનના હસ્તે શ્રી બહુચરાજી માતાના ગોખની સ્થાપના કરાઈ. ત્યાર બાદ જગદંબાને વરખડીવાળા સ્થાનની પ્રસિદ્ધિ થયા પછી ગુપ્ત રહેવાની ઇચ્છા થઈ.
ધીરે ધીરે આ સ્થાન વિસારે પડ્યું. કાળક્રમે પુન: પ્રગટ થવાની બહુચરામ્બાને ઇચ્છા થતાં કુલડીમાંથી કટક જમાડ્યું જે ત્રીજું પ્રાગટ્ય. કળિયુગમાં કાલરીના સોલંકી કુંવર તેજપાલને ‘નારીમાંથી નર’ એટલે કે પુરુષાતન આપ્યું તે માતાજીનું ચોથું પ્રાગટ્ય. સોલંકી કુંવરને જે જગ્યાએ પુરુષાતન સાંપડ્યું હતું તે (હાલ મોટા મુખ્ય મંદિર પાછળનું વરખડીવાળું સ્થાન) જળાશય પુરાવી, વરખડીનું ઝાડ અંદર રહે તે રીતે સંવત ૭૮૭માં મંદિર બંધાવ્યું. ઉપરાંત, વડોદરાના રાજવી દામાજીરાવ ગાયકવાડના પુત્ર માનાજીરાવ ગાયકવાડને પાઠાનું દર્દ હતું.
માતાજીની બાધા રાખવાથી અને બાજુના તળાવની માટીનો લેપ કરવાથી આ દર્દ મટી ગયું. આથી તેમણે સંવત ૧૮૩૫માં શ્રી માતાજીનું મંદિર, યજ્ઞમંડપ, કોટ વગેરે બંધાવ્યાં. તે સિવાય શ્રી વલ્લભ ભટ્ટને શ્રીનાથજીમાં ‘મા’ સ્વરૂપે દર્શન આપ્યાં. આજે પણ હજારો દીનદુ:ખિયા માના દરબારમાં પધારે છે. નિ:સંતાનને સંતાનસુખ આપનારી, પુરુષાતન આપનારી મા બહુચરની પાળે ઇચ્છિત ફળપ્રાપ્તિ બાદ શ્રદ્ધાળુઓ અચૂક દર્શનાર્થે પધારી કૃતકૃતાર્થ બને છે.