વડવાસા હત્યાકાંડ વીડિયો કોન્ફરન્સ માટે લીંક ન જોડાતા મુદત અપાઈ
સીટના બંને સરકારી વકીલ બદલાતા નવા વકીલો હાજર રહ્યા
વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ફળી નીકળેલા તોફાનો દરમિયાન પ્રાંતિજ નજીક વડવાસા પાસે ત્રણ બ્રિટીશ નાગરિકોની ટોળાએ હત્યા કરી હતી. આ કેસમાં બ્રિટીશ અધિકારીઓને જુબાની આપવા કોર્ટે તા.૩ ફેબ્રુઆરી નિધૉરીત કરી હતી. જોકે વિડીયો કોન્ફરન્સ માટેની લીંક ન જોડાતા કોર્ટે જુબાની આપવા માટે ૧૮ ફેબ્રુઆરી મુદત આપી હતી.
આ ઘટનાનો કેસ હિંમતનગરની વિશેષ અદાલતના ન્યાયાધીશ મીસ ગોપી ગીતા સમક્ષ ચાલી રહ્યો છે. જેમાં ફરિયાદીએ આપેલી અરજી બાદ બે બ્રિટીશ હાઇકમિશનરના અધિકારીઓને જુબાની આપવા કોર્ટે સમન્સ પાઠવ્યા હતા અને આ બંનેએ પણ વિડીયો કોન્ફરન્સથી જુબાની આપવા સંમતિ દર્શાવી હતી.
વિડીયો કોન્ફરન્સથી ગવાહી આપવા માટે કોર્ટ દ્વારા તા.૩ ફેબ્રુઆરીની તારીખ નિર્ધારીત કરીને બંને બ્રિટીશ અધિકારીઓ ઇયાન રીસ્ક અને હાવર્ડ પાર્કીશનને જાણ કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે ત્રણ વાગ્યા પછી જુબાની આપવા તમામ તૈયારી કોર્ટ દ્વારા કરાઇ હતી. પરંતુ ટેકનિકલ કારણોસર લીંક જોડાઇ શકી ન હતી. આ અંગે બચાવ પક્ષના વકીલ રશ્મિકાંતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે લીંક એસ્ટાબ્લીશ ન થવાના કારણે વિડીયો કોન્ફરન્સની કામગીરી થઇ શકે તેમ ન હતી. જેથી કોર્ટ દ્વારા તા.૧૮ ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સીટ તરફથી નિમાયેલા ખાસ સરકારી વકીલ અજયભાઇ ચોકસી અને મદદનીશ વકીલ વૈભવ એ. વ્યાસે થોડા દિવસ અગાઉ કૌટુંબીક કારણસર રાજીનામું આપી દીધુ હતું. જેથી હવે આ કેસમાં સ્પે.પબ્લીક પ્રોસિકયુટર તરીકે આર.સી. કોડેકર અને મદદનીશ વકીલ તરીકે એન.કે. દૈયાની નિમણૂંક કરવામાં આવી છે. આ બંને સરકારી વકીલો શુક્રવારની મુદતમાં હાજર રહ્યા હતા.