ખેડબ્રહ્માના ખેડવા જળાશયનો ઢાળ ચડી ન શકતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું: ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયો
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જળાશયનો ઢાળ ચડતું ટ્રેક્ટર સોમવારે સવારે પાછુ પડી જતા પલટી ખાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કિશોરના મોત નિપજ્યા હતા. જયારે ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બે કિશોરના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના લીલાવંટા ગામનો અજીતભાઇ નેતાભાઇ ડાભી (ઉ.વ.૨પ) સોમવારે સવારે સાત વાગ્યાના સુમારે ટ્રેક્ટર નંબર જીજે.૧૭.એસી.પપ૦ ઉપર કલ્ટીવેટર લગાવી ખેતરમાં જતા હતા.
ટ્રેક્ટરમાં વિજયભાઇ નેતાભાઇ ડાભી (ઉ.વ.૨૧), રગુભાઇ અર્જુનભાઇ ડાભી (ઉ.વ.૧પ) તથા રણજીતભાઇ બાબુભાઇ ડાભી (ઉ.વ.૧૩) ટ્રેક્ટર પર બેઠેલા હતા.દરમિયાન ખેડવા જળાશયના જમણા કાહાની પાળનો ઢાળ ચડતા ટ્રેક્ટર અચાનક પાછુ પડયુ હતું. અને પલટી ખાઇ ગયુ હતું. જેમાં રગુભાઇ ડાભી તથા રણજીતભાઇ ડાભી નામના કિશોરને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે વિજયભાઇ ડાભી ઇજાગ્રસ્ત થતા ખાનગી વાહનમાં ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
લીલાવંટા ગામના બે કિશોરના મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.મૃતક કિશોરો રગુભાઇ ડાભી, રણજીતભાઇ ડાભી તથા વિજયભાઇ ડાભી પિત્રાઇ ભાઇ છે. આ અંગે લીલાવંટાના બાબુભાઇ દીતાભાઇ ડાભીએ ટ્રેક્ટર ડ્રાઇવર અજીતભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. વી.એલ.પટેલ ચલાવી
રહ્યા છે.
પિતરાઇ ભાઇઓનો પરિવાર
રણજીત ધોરણ-૮ સુધી અભ્યાસ કર્યો છે તેને ત્રણ ભાઇ અને બે બહેનો છે, રગાભાઇ ડાભીને ત્રણ ભાઇ અને બે બહેનો છે, વિજયભાઇ ડાભીની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યુ છે.