ખેરાલુના વૃંદાવન મહાદેવ નજીક એક ટ્રેકટરચાલકે ૪૦૭ને ટક્કર માર્યા બાદ પાછળ આવી રહેલા ઇટર્નોને અડફેટે લેતાં તેના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછલી સીટે સવાર અન્ય બેને ગંભીર ઇજા ચહોંચી હતી.
ખેરાલુ તાલુકાના ચાણસોલનો વતની અને હાલમાં સુરત રહેતો ચેતનકુમાર જીવણલાલ મેવાડા ખેરાલુના વૃંદાવન ચાર રસ્તાથી ઉણાદમાં રહેતા તેના સગા હસમુખભાઇ કાન્તીલાલ સુથાર અને તેમની નાની દીકરી કાજલ હસમુખભાઇ સાથે શનિવારે બપોરે જીજે ૫-એફકે ૭૯૧૬ નંબરના ઇટર્નો પર ચાણસોલ જવા નીકળ્યો હતો. ત્યારે ચાણસોલથી ખેરાલુ તરફ આવી રહેલા બેફામ ટ્રેકટર ચાલકે વૃંદાવન મહાદેવ નજીક જીજે ૨ટી ૯૪૭૩ નંબરના આંગણવાડીના કેન્દ્રોનો ખાદ્ય જથ્થો ભરીને જતા ૪૦૭ ટેમ્પોને ટક્કર મારતાં ટ્રેકટર ફંગોળાઇ ગયું હતું અને ટેમ્પોની પાછળ આવી રહેલા ઇટર્નો સાથે અથડાયો હતો. જેમાં ટ્રેકટરચાલક ઇટર્નો સહિત તેની પર સવાર ત્રણેને ૩૦ મીટર સુધી ધસડી ગયો હતો. આ અકસ્માતમાં ઇટર્નો ચાલક ચેતનકુમાર મેવાડાનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે ઉણાદના પિતા, પુત્રીને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે ખેરાલુ સિવિલમાં લઇ જવાયા હતા. જોકે અહીં તબીબ હાજર ન હોઇ વડનગર રીફર કરાયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે બંનેની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કર્યા હતા. આ અંગે જાણ થતાં પીએસઆઇ એસ.જે. દેસાઇની સુચનાથી બીટ જમાદાર અર્જુનસિંહ સહિત પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી જઇ પંચનામું વગેરેની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંભીર ઇજાગ્રસ્ત
હસમુખભાઇ કાન્તીલાલ સુથાર
કાજલ હસમુખભાઇ સુથાર
બંને રહે. ઉણાદ