બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, પારપડા અને વડગામપંથકમાં બુધવારે શીતળા સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીના મંદિરે પરંપરાગત મેળાઓ ભરાયાં હતા. જ્યાં હજારોની સંખ્યામાં ભક્તજનોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શીતળા સાતમના પવિત્ર દિવસે બુધવારે પાલનપુર સહિત જિલ્લાના શીતળા માતાજીના વિવિધ મંદિર ખાતે લોકોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને માનતાઓ પૂર્ણ કરી હતી. પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થે લોકો સવારથી કતારમાં ઉભા હતા. મંદિર તરફથી લોકો સારી રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યારે તાલુકાના પારપડા ગામે પણ ભાતીગળ લોકમેળો યોજાયો હતો.
વડગામ તાલુકાના રૂપાલ ગામે પ્રાચીન શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ બુધવારના દિવસે લોકમેળો ભરાય છે. આ લોકમેળામાં દૂર-દૂરના ગામોમાંથી સેંકડો લોકોએ માતાજીને માનેલી માનતાઓ પુરી કરી હતી. મંદિરે દર્શનાર્થે આવતા લોકો ચુંદડી, સુખડી અને સોના-ચાંદીના વિવિધ દાગીનાઓ સહિત અનેક પ્રકારની માનતાઓ રાખે છે. જેમાં ખાસ કરીને ચાંદીના ફૂલ ચડાવવાનો મહિમા વધુ છે.
અંબાજી : દાંતાથી બે કિ.મી. દૂર પેથાપુર ગામે આવેલા શીતળા માતાના મંદિરે પારંપારિક લોકમેળો યોજાયો હતો. જ્યાં વહેલી પરોઢથી જ માતાજીના દર્શન અને નૈવેધ ધરાવવા શ્રદ્ધાળુઓની લાંબી કતાર જામી હતી. મેળામાં વિવિધ ખાણી-પીણી સહિત રમકડાં અને શ્રીશૃંગારના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. દાંતા તાલુકાની આદિવાસી પ્રજામાં મેળાનું વિશેષ મહત્વ હોઇ વનવાસીઓનું જાણે કીડીયારૂ ઉભરાયું હતું.
ભાતીગળ પોષાકોમાં સજ્જ વનવાસી યુવાધનએ મેળામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. અહિંયા શ્રીફળ ચઢાવવાનું મહત્વ હોઇ ૫૦ હજાર કરતાં વધુના શ્રીફળનું વેચાણ થયું હતું. જ્યારે યાત્રાધામ અંબાજી-આબુરોડ માર્ગ નજીક આવેલા પ્રાચિન શીતળા માતાના મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ઉભા કરાયા હતા.
પાંથાવાડા : દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે આવેલા શીતળા માતાના મંદિરે બુધવારે મેળો યોજાયો હતો. આ અંગે પુજારી હેમગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ‘આજુબાજુના ૫૦ થી ૬૦ ગામના લોકો હજારોની સંખ્યામાં દર્શને ઊમટયા હતા.