એક લાખ ચોરસ ફૂટનો શમિયાણો ઉભો કરાશે :બાર હજારથી વધુ લોકો ઉપવાસમાં જોડાશે
યાત્રાધામ અંબાજીમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી દ્વારા સદભાવના કાર્યક્રમ યોજાશે. જેની પૂર્વ તૈયારીમાં વહિવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરાયો છે. સદભાવના કાર્યક્રમ અંતર્ગત એકલાખ ચોરસ ફૂટનો શમિયાણો ઉભો કરવામાં આવશે. જેમાં દિવસ દરમિયાન બાર હજારથી વધુ લોકો સદભાવનામાં જોડાશે. જ્યારે ૪૦૦ જેટલા ગ્રુપોમાં ચાર હજારથી પણ વધુ કાર્યકરો સદભાવના વ્યક્ત કરશે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અંબાજીના જી.એમ.ડી.સી. મેદાનમાં એકલાખ ચોરસ ફૂટનો શમિયાણો ઉભો કરવામાં આવશે. જેમાં દિવસ દરમિયાન બાર હજારથી વધુ લોકો જોડાશે. આ ઉપરાંત ચારસો જેટલા ગૃપોમાં ચાર હજારથી પણ વધુ કાર્યકરો સદભાવના વ્યક્ત કરશે. સદભાવના મિશન દરમિયાન જિલ્લા અને રાજ્યની વિકાસગાથા રજુ કરતાં વિવિધ પ્રદર્શન ડોમ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેમજ વિવિધ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા, ભોજન, પાણીની વ્યવસ્થાનું પણ સમાંતર આયોજન હાથ ધરાયું છે. મુખ્યમંત્રીના આગમનને લઇ અંબાજીધામમાં ઠેર-ઠેર સરકારી ઇમારતોનું રંગરોગાન કરાયું છે. માર્ગોનું નવિનીકરણ હાથ ધરાતાં પ્રજાજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, સદભાવના મિશનમાં આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૫૦૦ જેટલા સદભાવના ઉપવાસીઓને ટી-શર્ટ, બેલ્ટ અને ટોપી અપાશે.
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ
સદભાવના કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત અંબાજીની તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓમાં બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અંબાજીને સાંકળતા માર્ગો પર દાંતા, સરહદ છાપરી બોર્ડરે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સદભાવના મિશનમાં ૬૦૦ બસો દોડાવાશે
યાત્રાધામ અંબાજીમાં સદભાવના મિશનમાં ઉપવાસીઓ, મુલાકાતીઓને કાર્યક્રમ સ્થળે લાવવા માટે ૬૦૦ એસ.ટી. બસો દોડાવવામાં આવશે. આ અંગે આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર કે.ટી. ખત્રીએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર ડિવીઝનમાંથી ૧૭૦, હિંમતનગર ૧૨૫, મહેસાણા ૧૨૫, અમદાવાદ ૭૫, ગોધરા ૭૫ અને ૩૦ રીઝર્વ બસો ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ બસોને રૂટ આપીને રવાના કરાશે. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોને સદભાવના સ્થળે પહોંચાડાશે.
સદભાવના મિશનની એક ઝલક
- અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સ્વાગત કરતા પાંચ બેનરો મુકાશે. - ત્રિશુળીયા ઘાટથી અંબાજી સુધી હંગામી સ્ટ્રીટ લાઇટો નંખાશે. - સિંહદ્વાર, ડિ.કે. ત્રિવેદી સર્કલ, દર્શન પથ અને અંબાજી મંદિર સંકુલને શનિ-રવિવારે રોશનીથી ઝગમગાવાશે. - સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સદભાવના વ્યક્ત કરાશે. - બલૂન ઉપર સદભાવનાના સ્લોગન પ્રદર્શિત કરાશે. - સભા સ્થળે સદભાવનાને લગતાં સ્લોગન અને ૧૦૧ ધર્મધજાઓ ફરકાવાશે. - ૫૧ નંગ તાંબાના ગરબા અને જવારાના કૂંડા દ્વારા મુખ્યમંત્રીને સત્કારાશે. - ૫૨ બાય ૩૨ ચો. ફૂટનો મુખ્ય સ્ટેજ. - ૧૫૦ બાય ૯૦ ચો. ફૂટનો ડોમ. - ૯૦ બાય ૧૫ નો જિલ્લા પ્રદર્શન માટેનો ડોમ. જેમાં ૨૨ સ્ટોલ ઉભા કરાશે. - ૧૨૦૦૦ ખુરશીઓ ગોઠવાશે. - ૨૦૦૦ વી.આઇ.પી.ઓને અગ્રહરોળમાં બેઠક વ્યવસ્થા. - શમિયાણામાં ૧૫૦૦૦ ની બેઠક વ્યવસ્થા. - ૧૦૦૦ વાહનોની કાર્યક્રમ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા. - ૧૦૦ જેટલા ટોઇલેટ. - ૧૦૦ વી.આઇ.પી. વાહનોની પાર્કિંગ વ્યવસ્થા. - ઉપરાંત ૧૭ પ્લોટમાં વિવિધ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા. - પાર્કિંગ પ્લોટોમાં પણ કંતાન ટોઇલેટ. - અંબાજી ભોજનાલય સહિત ત્રણ જગ્યાએ ભોજનાલયના દરે R ૧૦ માં જમવાની વ્યવસ્થા. - મુખ્યમંત્રીને જિલ્લાના સાધુ-સંતો અને મૌલવીઓ સદભાવના વ્યક્ત કરશે. - વિવિધ ત્રણ પ્રકારના ૪૦૦ જેટલા ગ્રુપોમાં ૭૯૦૦ થી પણ વધુ અગ્રણીઓ મુખ્યમંત્રીને સદભાવના વ્યક્ત કરશે.