અગાઉના સરવેના નકશા મુજબ કામ નહીં થતું હોવાનો ખેડૂતોનો બળાપો
ઊંઝાના સિંહી ખાતે ગેસની પાઇપ લાઇનનું ખોદકામ નકશામાં દર્શાવેલી જગ્યાએ નહીં કરાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા મહેસાણાથી પાલનપુર સુધી ગેસની પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ માટે અગાઉ સર્વે હાથ ધરી પાઇપલાઇન નાખવા અંગેનો નકશો બનાવાયો હતો. હાલમાં સિંહી ગામની સીમમાં પાઇપલાઇન નાંખવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે કંપની દ્વારા સર્વે કરી તૈયાર કરાયેલા નકશા મુજબ પાઇપલાઇન નાંખવામાં આવી રહી નથી એવો ખેડૂતોનો આક્ષેપ છે.
આ અંગે ખેડૂત મહેશભાઇ એચ.પટેલે જણાવ્યું હતું કે, અમારા ખેતર સુધી પાઇપલાઇનનું ખોદકામ કરી રહેલા કર્મચારીઓ નકશા મુજબની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર પાટણ- ઊંઝા રોડ પાર કરીને નકશા વિરુદ્ધ બે ખેતરમાં પાઇપલાઇનનું ખોદકામ શરૂ કરાયું છે. જો આ રીતે ખોદકામમાં ફેરફાર થઇ શકતો હોય તો અમારા ગામના અન્ય ખેડૂતોના ખેતર વચ્ચે પાઇપલાઇનનું ખોદકામ કર્યું છે તે કેમ સાઇડમાં ન કરાયું. અમારા ખેતરોને નુકસાન પહોંચ્યું છે અને અમારી જમીનમાં ભવિષ્યમાં બોર બનાવવો હોય કે અન્ય ઉપયોગ માટે થઇ શકે નહીં, જેથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
પાઇપલાઇન ખોદકામનું સંચાલન ગાંધીનગરથી થાય છે
આ અંગે ગેસની પાઇપલાઇનનું ખોદકામ કરી રહેલ કંપનીના સુધીરભાઇને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જો તમારે આ અંગેની માહિતી જોઇતી હોય તો ગાંધીનગર ઇન્ફોસીટી ખાતે અમારી કંપનીના ૩૦૦ જેટલા કર્મચારીઓ બેઠા છે તેમની પાસેથી માહિતી લઇ શકો છો. અમારે તો નકશા મુજબની કામગીરી કરવાની હોય છે નકશામાં ફેરફાર કરવાની સત્તા આ કર્મચારીઓ પાસે છે.