વિકાસ કામોનાં નાણાંની રકમ પોતાના ગામમાંજ ફાળવી દેતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નોટિસ પાઠવી ચાર દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું
પ્રાંતિજ અને વડાલી તાલુકા પંચાયતમાં કોંગ્રસનું શાસન છે ત્યારે ત્યાં પણ પ્રમુખ દ્વારા મનસ્વી નિર્ણય કરીને વિકાસ કામો માટેની ગ્રાન્ટ પોતાનાજ મતવિસ્તારમાં ફાળવી દેવાતા અન્ય સભ્યોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખે એકહથ્થુ શાસન ચલાવીને વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩માં વપરાનાર ગ્રાન્ટની રકમનો મોટાભાગનો હિસ્સો પોતાનાજ ગામમાં ફાળવી દીધો છે. જે અંગે રજૂઆત મળતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તાજેતરમાં પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખને શો કોઝ નોટિસ આપી ચાર દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઇ છે.
પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ કાળુસિંહ રામસિંહ ચૌહાણે વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમમાંથી વર્ષ ૨૦૧૧-૧૨માં રૂપિયા ૫૦ લાખ બાલીસણા ગામના વિકાસ માટે ફાળવી દીધા હતા.
જે અંગે તરતજ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પ્રમુખ ડાહ્યાભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખને તાકીદ કરી ચૂંટાયેલા સદસ્યોને સાથે રાખી નિર્ણય લેવા જણાવાયું હતું. તેમ છતાં તાજેતરમાં વર્ષ ૨૦૧૨-૧૩ની બીઆરજીએફની ગ્રાન્ટમાંથી ફરીથી તાલુકા પંચાયતના પ્રમુખે અંદાજે R ૨૬ લાખની રકમ ખર્ચવા માટે બાલીસણા ગામને પસંદ કર્યું હતું. જેથી ચૂંટાયેલા સદસ્યો રોષે ભરાયા હતા. જે અંગે ફરીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
તેમ છતાં પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખે એકહથ્થુ શાસન કરવાનું ચાલુ રાખ્યુ હોય તેવી છાપ ઉપસી હતી. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઇ પટેલે તા. ૭ ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ કાળુસહિને શો કોઝ નોટિસ આપી હતી. આ નોટિસમાં જણાવાયા મુજબ ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના આગેવાનોને સાથે રાખી વર્ષ ૨૦૧૨-૧૩માં R ૨૬ લાખની ફાળવણી જે કરાઇ છે તે અંગે પુન: વિચારણા કરવા જણાવાયું છે અને ચાર દિવસમાં લેખિત તથા રૂબરૂ ખુલાસો કરવા પણ તાકીદ કરાઇ છે.
જો તેમ કરવામાં કસુર કરાશે તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણી શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શો કોઝ નોટિસની નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલને પણ મોકલવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શું કહે છે ?
પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખના મનસ્વી શાસન અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઇ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું કે અગાઉ પણ તેમને તાકીદ કરીને ચૂંટાયેલા સદસ્યોને સાથે રાખી નિર્ણય લેવા માટે જણાવાયું હતું.