યુવક ઉદયપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો : ઓવરટેકની લ્હાયમાં કાળમુખી ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં અંદરથી બહાર ફેકાયેલા હિરેનને કચડ્યો : બિમાર હિરેન મિત્રો સાથે રિક્ષામાં દવાખાને જતો હતો : ગમગીની વચ્ચે પાટણ ખાતે અંતિમવિધી કરાઇ
રાજસ્થાનના ઉદયપુરના એકલીંગપુરા વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક બેફામ ટ્રકે ઓવરટેક કરવાની લ્હાયમાં બે વાહનોને અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પાટણના એક આશાસ્પદ એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના બે મિત્રો સહિત અમદાવાદની એક મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. માર્ગ અકસ્માતમાં યુવકના મોતના સમાચારને પગલે શહેરમાં પાટીદાર સમાજમાં આઘાતની લાગણી ફરી વળી હતી. તેનો મૃતદેહ શુક્રવારે પાટણ લવાતાં ગમગીની વચ્ચે અંતિમવિધી કરવામાં આવી હતી.
પાટણ શહેરના ભદ્ર વિસ્તારના કનાથવાડામાં રહેતો હિરેન અંબાલાલ પટેલ (ઉ.વર્ષ.૨૨) રાજસ્થાનમાં ઉદયપુર ખાતે પેસિફિક કોલેજમાં બીટેકનો ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તે બિમાર હોવાથી તેના મિત્રો અજીત પટેલ અને નીતેશ પટેલ સાથે રિક્ષામાં બેસીને ગીતાંજલિ હોસ્પિટલમાં જઇ રહ્યો હતો. ત્યારે અહીંના એકલીંગપુરા વિસ્તારમાં એક કાળમુખી ટ્રકે આગળ જઇ રહેલી ટવેરા ગાડીને જોરદાર ટકકર મારતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટવેરા ગાડી આગળ જઇ રહેલી રિક્ષા સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેને લઇ બેકાબુ બનેલી ટ્રક રિક્ષા પર ફળી વળતા રિક્ષામાં બેઠેલા હિરેન પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું બનાવ સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે તેના બે મિત્રો સહિત અમદાવાદની એક મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિરેનના મોતના સમાચારને પગેલ તેના પરિવારજનો અને પાટણ શહેરના લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી. ઉદયપુરથી શુક્રવારે તેનો મૃતદેહ પાટણ લવાતા હ્રદદ્વાવક દ્દશ્યો સર્જાયા હતા. વ્હાલસોયા દિકરાના મોતને પગલે તેના પરિવારજનો હિબકે ચઢ્યા હતા. હિરેનની અંતિમવિધિમાં લેઉવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
...અને કાળમુખી ટ્રકે હિરનને ચગદી નાંખ્યો
ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબૂ બનેલી ટ્રકે આગળ જઇ રહેલી ટવેરાને ટકકર મારતા ટવેરા ૩૦ ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. ત્યાર બાદ આ ટ્રકે એકલીંગપુરા તરફથી આવી રહેલી ઓટો રિક્ષાને ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલો હિરેન નીચે પટકાતા જોતજોતામાં કાળમુખી ટ્રકે તેને ચગદી નાંખ્યો હતો.
હિરેને ૧૦ દિવસ પૂર્વે પાટણ આવ્યો હતો
અભ્યાસમાં તેજસ્વી હિરેન ૧૦ દિવસ અગાઉ પાટણ ખાતે યોજાયેલ તેના કાકાના દિકરાના લગ્ન પ્રસંગે આવ્યો હતો. પરિવારજનો વચ્ચે ૧૦ દિવસ ગાળ્યા બાદ તે ત્રણ દિવસ પૂર્વે જ ઉદયપુર જવા રવાના થયો હતો. જો કે, પુત્રના માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર માત્રથી તેનો પરિવાર ભાંગી પડયો હતો. અને પાટણ ખાતેથી તેની મુલાકાત અંતિમ બની રહી હતી.