વિરમગામ-બહુચરાજી હાઈવે પર તસ્કરોએ હાથ માર્યો : હદ અંગે વિવાદ
સૌરાષ્ટ્રના ગોંડલથી જીરુ ભરી ઊંઝા માર્કેટયાર્ડમાં લઈને આવી રહેલી એક ટ્રકની તાડપત્રી કાપી તસ્કરો R ૧.૩૦ લાખની કિંમતના જીરુની ૧૩ બોરીઓ ચોરી ગયાની ઘટનાથી વાહન ચાલકોમાં ફફડાટ પ્રસર્યો છે. આ ઘટના વિરમગામથી બહુચરાજી સુધીના માર્ગમાં બનેલી હોઈ તપાસને લઈ પોલીસ વચ્ચે ખેંચતાણ સર્જાઈ છે.
મહેસાણા તાલુકાના નદાસા ગામના ઠાકોર જયંતિજી ખોડાજી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જેઓ ગુરુવારે સૌરાષ્ટ્રના ગોંડલથી ટ્રકમાં જીરુ ભરી ઊંઝા માર્કેટયાર્ડમાં પહોંચાડવા નીકળ્યા હતા. દરમિયાન વિરમગામના કોકતા ફાટક નજીક ડ્રાઈવરે ટ્રક ઊભી રાખી હતી. જ્યાંથી વિરમગામ- બહુચરાજી હાઈવે થઈ ઊંઝા જવા રવાના થયા હતા.
બહુચરાજી પહોંચતાં ડ્રાઈવરે ચા પાણી માટે ટ્રક ઊભી રાખી ત્યારે તાડપત્રી કાપેલી જોવા મળી હતી. આથી તપાસ કરતાં ખબર પડી કે રૂ.૧.૩૦ લાખની કિંમતનું ૧૩ બોરી જીરુ ચોરાયું છે. આથી તેમણે માંડલ પોલીસને ફરિયાદ આપી હતી. દરમિયાન વિરમગામ ડીવાયએસપીએ તપાસના કાગળ બહુચરાજી પોલીસને મોકલી આપતા બહુચરાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.
જીરુ ચોરતી ટોળકી પુન: સક્રિય
એશિયાખંડનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ જીરુની લે-વેચ માટે વિખ્યાત હોઈ વેપારીઓ તેમજ ખેડૂતો જીરુ વેચવા રાજ્યભરમાંથી અહીં આવે છે. સૌરાષ્ટ્રના લોકો વાયા વિરમગામ- બહુચરાજી- મહેસાણા રૂટનો માલની હેરફેર ઉપયોગ કરે છે. આ માર્ગ પર જીરુ ચોરતી ટોળકીના સભ્યો ચાલુ ગાડીએ ઉપર ચડી તાડપત્રી અને રસ્સા કાપી જીરુ ભરેલી બોરીઓ નીચે ફેંકી દે છે અને આગળ તક મળતાં નીચે ઉતરી જતા હોય છે. આ મોડસ ઓપરેન્ડી મુજબ અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. આ સંદર્ભે ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન સહિતે રાજ્યના ગૃહવિભાગનું ધ્યાન દોરી આ પ્રવૃત્તિ અટકાવવા માંગણી પણ કરેલી છે. તેમ છતાં તે હજુ સુધી નહીં અટકતાં વાહનચાલકો અને ખેડૂતોમાં ભય પ્રસર્યો છે.