જિલ્લાની ગ્રામ પંચાયતોનું સંચાલન કરતી જિલ્લા પંચાયતને આગામી બે દિવસમાં નવું નામ અપાશે. આગામી ૪થી સપ્ટેમ્બરના રોજ જિ.પંચાયત ખાતે નામાંકરણ સમારોહ યોજાશે જેમાં લોખંડી પુરૂષ સરદાર પટેલ તથા પં.દિન દયાળના નામ જિલ્લા પંચાયત સાથે જોડવામાં આવશે.
ભાજપ શાસિત જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં ઠરાવ કરી જિલ્લા પંચાયત ભવન સાથે દેશના બે મહાનુભાવોના નામ જોડવા નિર્ણય લેવાયો હતો. રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી નરોત્તમભાઇ પટેલ, શહેરી મંત્રી નિતિનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાકેશ શંકર સહિત અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આગામી ૪થી સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે નામાંકરણ સમારોહનું આયોજન કરાયું છે.
જેમાં જિલ્લા પંચાયત ભવનને દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલનું નામ અપાશે જ્યારે પંચાયત દ્વારા નવિનર્મિત કોમ્યુનિટી હોલને પંડિત દિન દયાળનું નામ અપાશે.
ઉપરાંત પંચાયત ભવનની પાછળના ભાગમાં વિકસાવેલા વીરાંજલી વનને સદ્ગત પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ભરત રાવલના નામ સાથે જોડાશે. આ વીરાંજલી વનને ‘ભરત વન’ નામ આપવામાં આવશે.