શહેરના માર્ગો ૭.૫થી ૪૫ મીટર પહોળા થશે : પાંચથી વધુ નવા માર્ગોનું નિર્માણ કરી વાહનચાલકોની સુવિધા વધારવા તંત્રની કવાયત
હિંમતનગર પાલિકા દ્વારા શહેરના સુનિયોજીત વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ ૨,૩ અને ૪ અમલી બનાવવા કામગીરી હાથ ધરાઇ છે. જે અંતર્ગત તંત્રએ ટીપીમાં નવીન સૂચિત કરેલા વિવિધ ડીપી અને ટીપી રોડને ૭.૫ મીટરથી લઇને ૪૫ મીટર સુધી પહોળા કરવા માટે આવશે. તેના ભાગરૂપે રોડોની બંને સાઇડે બાઉન્ડરી સ્ટોન લગાવવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
આ માટે જમીન માલિકો દ્વારા પાલિકાને સ્ટેમ્પ ઉપર લખાણ કરી રોડ સોંપવામાં આવી રહ્યા છે. તેના કારણે ટીપી સ્કીમ અંતિત થતા સુધીમાં સમય ન વેડફાતા હાલ પાલિકાએ આવા રોડનું ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ અમલમાં મુકવા કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે હિંમતનગર પાલિકાના પ્રમુખ જે.ડી.પટેલે જણાવ્યું હતું કે ટીપી સ્કીમ નં. ૨ (મોતીપુરા)માં નેશનલ હાઇવેને સમાંતર સહકારી જીનથી સ્ટારસીટી સુધી રોડની બંને સાઇડ ૧૨ મીટર પહોળી કરાશે. પોલીટેકનીક કોલેજ રોડને ૩૦ મીટર પહોળો કરાશે. ટીપી સ્કીમ નં. ૩ (મહાવીરનગર)માં રિલાયન્સ મોલથી બેરણા તરફ જતા પાલિકાની હદમાં આવતા માર્ગને ૧૨ મીટર પહોળો કરાશે. તસીયા રોડથી ગાયત્રી મંદિર રોડ એટલેકે મહાકાળી મંદિર તરફ પાલિકાની હદ સુધીના માર્ગને ૧૫ મીટર પહોળો કરાશે.
ગણપતિ મંદિરવાળા રોડને નવ મીટર પહોળો કરાશે. એરોડ્રામ વિસ્તારથી પાલિકાની હદ સુધીનો રોનકપાર્કવાળો રોડ (પૂર્વ-પશ્ચિમ) ૧૨ મીટર પહોળાઇનો કરાશે. હાલમાં બનેલ નવીન ખેડ-તસીયા રોડ પર પેરેલર અઢીથી ત્રણ મીટરનો સર્વિસ રોડ બનાવાશે. ગાયત્રી મંદિર રોડ પર હરસિધ્ધ સોસાયટીથી રામેશ્વર સોસાયટીને જોડતો રોડ ૧૮ મીટર પહોળો તૈયાર કરાશે. ગાયત્રી મંદિર રોડ પર સ્ટેટસ કોમ્પ્લે-ાથી ગણપતિ મંદિર રોડ થઇ રામેશ્વર સોસાયટી એટલેકે સર્વે નં. ૫૧/૨/૧૭ થઇને સહકારી જીનને જોડતા રોડને ૧૫ મીટર પહોળો કરાશે.
વધુમાં ટીપી ચેરમેન શિવકુમાર સોડાણી અને ટીપી વિભાગના વડા જિજ્ઞેશભાઇ ગોરે જણાવ્યું હતું કે ટીપી સ્કીમ નં. ૪ (સહકારી જીન રોડ)માં તસીયા રોડથી છાપરીયા ચાર રસ્તા સુધી ગુહાઇ કોલોની તરફનો રોડ ૨૦ મીટરનો કરાશે. છાપરીયા ગામતળથી અંબાલાલ કડીયાના ઘર આગળ થઇ સહકારીજીનને જોડતા રોડને ૧૫ મીટર પહોળો કરાશે. સહકારી જીન રોડથી શામળાજી નેશનલ હાઇવે તરફ પાલિકાની હદ સુધીના માર્ગને ૨૪ મીટર પહોળો કરાશે. શારદાકુંજ સોસાયટી, સહયોગનગર, લક્ષ્મીવિહાર અને સુંદરવનને જોડતી સોસાયટીને જોડતો માર્ગ ૧૮ મીટર પહોળો કરાશે.