જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો : માંડલી ગામને શબ્દના તીર્થ તરીકે ઓળખાવતા સાહિત્યકારો
સાહિત્યક્ષેત્રે અનોખુ પ્રદાન આપનાર પન્નાલાલ પટેલનું માદરે વતન માંડલી યાત્રાધામથી પણ વિશેષ છે. તેમ ૧૦૦મી જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકાર પૂજય મોરારિબાપુએ જણાવ્યું હતું. જ્યારે સાહિત્યકારોએ પણ માંડલીને શબ્દના તીર્થ તરીકે ઓળખાવી પન્નાલાલ પટેલે સાહિત્યક્ષેત્રે કરેલ સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પન્નાલાલની જીવનગાથાનું શ્રવણ કર્યું હતું.
જિલ્લાની સરહદે અને મેઘરજ તાલુકાના ઉન્ડવાથી માત્ર ૫૦૦ મીટર દુર આવેલ રાજસ્થાનના માંડલી ગામે જન્મેલા અને પોતાની યુવાનીના ઘણાખરા વર્ષો ગુજરાતમાં જ ગાળનાર પ્રખ્યાત નવલકથાકાર અને સાહિત્યકાર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મ શતાબ્દી વંદનાનો એક કાર્યક્રમ ગુરુવારે યોજાયો હતો.
માંડલીની માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરી, મણીલાલ હ.પટેલ, સંજયભાઇ ચૌધરી, કાનજીભાઇ પટેલ, દ્રષ્ટિ ચૌધરી સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. કથાકાર પૂજય મોરારિબાપુના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતાં તેઓએ માંડલીને યાત્રાધામથી પણ વિશેષ સન્માન આપી જણાવ્યું હતું કે માંડલી ગામના તળમાં રહેલા પાણીની તાકાત કેટલી છે, તે પન્નાદાદાએ સાહિત્યક્ષેત્રે આપેલ પ્રદાન પરથી આંકી શકાય છે. પોતાને આ પવિત્ર સ્થળે આવવાનો મોકો મળ્યો તે યાત્રા કર્યા સમાન જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના જે જે સાહિત્યકારો થઈ ગયા અને વર્તમાનમમાં પણ સાહિત્યક્ષેત્રે જેનો સિતારો બુલંદ છે તેવા મોટાભાગના સાહિત્યકારો ગામડામાંથી જ આવ્યા છે. પન્નાલાલ પટેલને પોતાના કુળના જ ગણાવતા મોરારિબાપુએ જણાવ્યું હતું કે પોતે વાંચીને કથાકાર કહેવાય છે જ્યારે પન્નાલાલતો રચના કરનાર કથાકાર છે, માટે કથાકારનું કુળ એક જ હોય.
આ પ્રસંગે પ્રખ્યાત સાહિત્યકાર મણીલાલ હ.પટેલ તથા રઘુવીર ચૌધરીએ માંડલી ગામને શબ્દનું તીર્થ ગણાવી પન્નાલાલ પટેલને સાહિત્યક્ષેત્રે કરેલી સેવાને ગદ્ગદીત કંઠે બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મેઘરજ, મોડાસા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૪૭૬ નવલિકાઓના સર્જક પન્નાલાલ
પન્નાલાલ પટેલે તેમના જીવનકાળ દરમિયાન ૪૭૬ નવલીકાઓનું સર્જન કર્યું હતું. તેમની પ્રથમ નવલીકા શેઠની શારદા ૧/૧૧/૧૯૩૬ના દિવસે પ્રકાશીત થઈ હતી. તેમણે લખેલી તરસ્યા મલકના મેઘ, ધરતી આભના છેડા, મળેલા જીવ, માનવીની ભવાઈ અગ્રગણ્ય છે. માનવીની ભવાઈ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું હતું.
મેઘરજમાં મોરારિબાપુનું સ્વાગત કરાયું
મેઘરજના માર્ગ પરથી પસાર થઈ રહેલ પૂજય મોરારિબાપુની કારને ગ્રીનપાર્ક ચોકડી પાસે ઉભી રખાવી મુસ્લિમ યુવક અયુબભાઇ ચડી, રાજુભાઈ પુરોહિત તેમજ કનુભાઇ ગોર દ્વારા પુષ્પહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ મુસ્લિમ યુવક થોડાક વર્ષો અગાઉ કસાણામાં યોજાયેલ પૂજય મોરારિબાપુની કથા વખતે મોરારિબાપુનો અનન્ય ભકત બની ગયો હતો.