મારુતિનો ગુજરાતમાં વધુ એક પ્રોજેક્ટ, બહુચરાજી પાસે ખરીદી 500 એકર જમીન

મારુતિએ બહુચરાજી પાસે ૧પ૦ કરોડમાં પ૦૦ એકર જમીન ખરીદી
હાંસલપુર પ્રોજ્કટનું કામ જાન્યુઆરીમાં શરૂ થવાની સંભાવના
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી બહુચરાજી બાદ તેનાથી ૨૦ કિ.મી. દૂર આવેલા માંડલ તાલુકાના ઉઘરજપુરા ગામે વધુ એક પ્રોજેક્ટ સ્થાપવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ પ્રોજેક્ટ માટે એકર દીઠ ૩૦ લાખ રૂપિયાના ભાવે પ૦૦ એકર જમીન ખરીદી છે. કંપનીને કુલ ૧પ૦૦ એકર જમીનની જરૂર છે, જેમાંથી હાલમાં તેની પાસે ૬૪૦ એકર જમીન છે.
રાજ્ય સરકાર દ્વારા પ૦૦થી ૬૦૦ વિઘા જેટલી સરકારી પડતર જમીન કંપનીને ફાળવી પણ દેવાઇ છે. નોંધપાત્ર છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસેના હાંસલપુર ગામે સ્થપાનાર મારૂતિ પ્રોજેક્ટના કંન્ટ્રક્સનનું કામ સંભવત જાન્યુઆરી માસથી હાથ ધરાનાર છે. જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની હદમાં આવતા ઉઘરોજપુરા ગામની પ૦૦થી ૬૦૦ વિઘા સરકારી પડતર જમીન મારૂતિ સુઝુકી કંપનીને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
જે અંગેની કાચી નોંધ પણ સરકારી દફતરે થઇ ગઇ છે. સૂત્રો વધુમાં ઉમેરે છે કે, રાજ્ય સરકાર દ્વારા મહેસાણા-અમદાવાદ જિલ્લામાં સ્પેશ્યલ ઇન્વેન્ટમેન્ટ રીઝન (સ્થળ)ની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત ઉઘરોજપુરા ઉપરાંત આસપાસના ભગાપુરા, સદાતપુરા, ગેતાપુરા, ગીતાપુર, વિઠલાપુર, ઉકરડી, માનપુરા સહિતના ગામોની જમીન પર એક્વાઇર કરવામાં આવનાર છે.
સરકારી દફ્તરે જમીન મારૂતિના નામે કરાઇ
મારુતિ સુઝુકી કંપની દ્વારા બહુચરાજી પાસેના હાંસલપુર ગામની સીમમાં સર્વે નં. ૨૯૩ પૈકીની ૬૦૦ એકર જમીનમાં પ્રથમ તબક્કામાં ૪૦૦૦ કરોડના ખર્ચે પ્રોજેક્ટ ઉભો કરવામાં આવનાર છે. તાજેતરમાં કંપનીના ચેરમેન ઓસામુએ પણ આ જગ્યાની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટનું કામ સંભવત્ જાન્યુઆરી માસથી શરૂ થનાર છે. હાલમાં પ્રોજેક્ટ સુચિત જગ્યા પર સાઇટબોર્ડ પણ લગાવાઇ દેવાયું છે. બે દિવસથી સિક્યુરિટી પણ મુકાઇ દેવામાં આવી છે.





