સતલાસણા તાલુકાના સુદાસણામાં મંગળવારની રાત્રે ત્રાટકેલી આઠ જેટલા તસ્કરોની ટોળકીએ બે જૈન દેરાસરો સહિત ત્રણ બંધ મકાનનાં તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો જાગી જતાં તસ્કરો દિગંબર જૈન દેરાસરના ભંડારામાંથી રૂપિયા ૪૦૦૦ની રોકડ ચોરી કરી બે યુવાનોને ઇજાઓ પહોંચાડી ભાગી જવામાં સફળ રહ્યાં હતા.
સતલાસણા તાલુકાના સુદાસણા ગામે મંગળવારની રાતે ચોરી કરવા આવેલા આ તસ્કરોએ ગામનાં ત્રણ બંધ મકાનો અને બે જૈન દેરાસરોને નિશાન બનાવ્યાં હતાં. જેમાં ઠક્કર કમળાબેન નરસિંહલાલ, કોઠારી રમણલાલ જોઇતારામ, દોશી રાજેશકુમાર દોલચંદભાઇના મકાન સહિત ત્રણ બંધ મકાનોનાં તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરતાં તસ્કરોને હાથ ખાસ કંઇ લાગ્યું નહોતું.
પરિણામે નજીકમાં આવેલા કુંન્થુનાથ શ્વેતાંબર જૈન દેરાસર અને આદીનાથ દિગંબર જૈન દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારનાં તાળાં તોડી અંદર પ્રવેશેલાં તસ્કરો દિગંબર જૈન દેરાસરના ગર્ભગૃહ આગળ મુકેલો ભંડારો તોડી રહ્યા હતા. ત્યારે નજીકમાં આવેલા મહોલ્લાના રહીશો જાગી જતાં હોબાળો મચી ગયો હતો અને કેટલાંક યુવાનોએ પડકારતાં તસ્કરો માત્ર ભંડારામાંથી રૂપિયા ૪ હજારની રકમ લઇ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જોકે જતાં જતાં તસ્કરોએ રાવળ મણાભાઇ ભોભરભાઇ અને ઠાકોર વનાજીને ઇજાઓ પહોંચાડી હતી.
જેમાં રાવળ મણાભાઇને હાથના ભાગે ફેકચર થઇ જતાં વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયો હતો. જ્યારે જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલા સતાલાસણાના પી.એસ.આઇ. એમ.જે.ઝલુએ દિગંબર જૈન દેરાસરના ટ્રસ્ટી દોશી રજનીભાઇ કોદરભાઇએ નોંધાવેલી ફરીયાદને આધારે ૪૦૦૦ની ચોરીનો ગુનો નોંધી ડૉ.ગ સ્કવોડ, એફ.એસ.એલ. વગેરે તપાસ એજન્સીઓની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા સઘન પ્રયાસ આદર્યા હોવાનું સ્થાનિક પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.