પાલનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇન નાંખવામાં આવી હતી. જેના ખોદકામથી મોટાભાગના જાહેર માર્ગો બિસ્માર થઇ ગયા હતા. જે રસ્તાઓનું નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાશે. જેનું સોમવારે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
પાલનપુર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેના ખોદકામ દરમિયાન જાહેર માર્ગોને નુકસાન થતાં રહીશો દ્વારા અનેક ફરિયાદો મળી હતી. જેનો હવે ટૂંક સમયમાં સુખદ ઉકેલ આવશે. જેમાં શહેરી વિકાસ યોજના તળે અંદાજિત R ૨,૨૫,૯૭,૫૮૦ ના દસ કામો માટે ભાવો મંગાવવામાં આવ્યા હતા.
જેમાં કોન્ટ્રાક્ટરના R ૧,૮૭,૫૬,૬૦૯.૪૦ (૧૬.૯૯ ટકા) નીચા ભાવ મંજુર કરવા સૈદ્ધાંતિક મંજુરી આપવા માટે ભલામણ કરાઇ છે. જે અંતર્ગત R ૧.૮૭ કરોડના ખર્ચે જુદાજુદા વિસ્તારના માર્ગને નવા બનાવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સોમવારે અમીરગઢથી ગઠામણ દરવાજા વચ્ચેના માર્ગને નવો બનાવવા માટે ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિના હસ્તે ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું.