આઠ માસ અગાઉ પોલીસ-બુટલેગર સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણ સમયે પોલીસ ગોળીબારમાં બેનાં મોત થયાં હતાં : મૃતકના પરજિન દ્વારા કરાયેલી અપીલને પગલે ગુજરાત હાઇકોર્ટના આદેશથી ડીજીપી દ્વારા સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઇ
હારિજમાં આઠ માસ અગાઉ પોલીસ-બુટલેગર સમર્થકો વચ્ચેની અથડામણમાં પોલીસ ગોળીબારમાં બેનાં મોત નીપજ્યાં હતા. હાઇકોર્ટના આદેશ પછી રાજ્યના ડીજીપી દ્વારા સીઆઇડી ક્રાઇમને આ ઘટનાની તપાસ સુપરત કરતાં પાટણ સીઆઇડી ક્રાઇમે તપાસ સંભાળી લીધી છે.
હારિજમાં૩૦ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ તત્કાલીન એલસીબી પીઆઇ પી.એચ. ચૌધરી અને એસઓજી પોલીસે ફાતડાપરા અમરતપુરા વિસ્તારમાં મનુજી મથુરજી ઠાકોરના દારૂના અડ્ડાપર રેડ કરી હતી. જેમાં બંને પક્ષ સામાસામા આવી ગયા હતા. પોલીસ પર હથિયારોથી હુમલો થતાં પોલીસે ટોળાને વોખેરવા ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આઠેક પોલીસ તેમજ ચાર બુટલેગર સમર્થકો ઘવાયા હતા. જેમાં મુખ્ય બુટલેગર મનાતા મનુજી મથુરજી ઠાકોર અને સોનલ અરવિંદજી ઠાકોર (૧૫)ના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં હારિજ પોલીસ મથકે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવાઇ હતી. તેમજ પાછળથી પીઆઇ પી.એચ. ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
આ ઘટનાની તપાસ ચાણસ્માના પોલીસ ઇન્સપેકટર ચલાવી રહ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસના હાથમાંથી તપાસ લઇ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં મરનાર મથુરજીના પક્ષ વતી આશાબેન ઠાકોર દ્વારા મેટર દાખલ કરવામાં આવી હતી. જેની હાઇકોર્ટમાં સુનાવણી થતાં હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવા ગુજરાત પોલીસને આદેશ કર્યો હતો. તેથી રાજ્યના ડીજીપીએ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરને તપાસ સુપરત કરી દીધી હતી.
પાટણ સીઆઇડી ક્રાઇમે તપાસ સંભાળી લીધી
આ ગુનો પાટણની હદનો હોઇ અત્રેની સીઆઇડી ક્રાઇમની કચેરીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એલ.કરણને તપાસ સોંપાતાં તેમણે ચાણસ્મા પોલીસ ઇન્સપેકટર પાસેથી તપાસ સંભાળી લીધી હતી તેવું તેમણે જણાવ્યું હતું. આ કેસ તેમના માટે નવો છે બંને પક્ષની ફરિયાદો છે. તમામ રજૂઆતો સ્થિતિનો અભ્યાસ તેમણે હાથ ધર્યો છે તેવું પીઆઇ કરણે વધુમાં જણાવ્યું હતું.