પાલનપુર અને ડીસા અને વડગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે : મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે
પાલનપુરમાં ગુરુવારે ભગવાનશ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. જેને શહેરના રાજમાર્ગો પર પરિભમણ કરાવાશે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મટકીફોડનો કાર્યક્રમ યોજાશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે. જેમના ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી’ ના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠશે.
પાલનપુર ખાતે આજે ગુરુવારે બ્રિજેશ્વર કોલોની સ્થિત મંદિરથી ભગવાનશ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. આ અંગે પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રજનીશભાઇ બાફનાએ જણાવ્યું હતું કે, ‘બજરંગદળના સંયુક્ત ઉપક્રમે યોજાનારી શોભાયાત્રાને બપોરે ૧-૩૦ કલાકે પ્રસ્થાન કરાવાશે. જે પરંપરાગત રૂટ પ્રમાણે દિલ્હીગેટ, સીમલાગેટ, રેલવે સ્ટેશન, કિર્તીસ્તંભ, ગુરૂનાનક ચોક, ગઠામણ દરવાજા, હનુમાનશેરી, મોટીબજાર, હરજિન કોલોનીથી સાંજે ૮-૦૦ કલાકે નજિમંદિરે પરત ફરશે.
શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ, વિવિધ દેવી દેવતાઓની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બનશે. જેની સાથે માર્ગોમાં ઠેર-ઠેર બાંધવામાં આવેલી મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે. તેમજ એગોલા રોડ યુવક મંડળ, પાલનપુર દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત વડગામ ખાતે રાધાકૃષ્ણ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાતા હોઇ મેળા જેવો માહોલ જામશે. દાંતામાં ઠાકોરજી મંદિરેથી ગુરુવારે બપોરે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે નગરના રાજમાર્ગો પરથી ફરી પરત મંદિરે સંપન્ન થશે.
જ્યાં ઠેર-ઠેર કુલ મળી ૫૧ જેટલી મટકી ફોડવાનો કાર્યક્રમ યુવાનો દ્વારા ઉજવાશે. જન્મષ્ટમીના પર્વની ઉજવણી કરવા દાંતા સહિત અંબાજીમાં પણ ઠેર-ઠેર ધજા-પતાકા અને રંગબેરંગી તોરણોથી સજાવવામાં આવ્યું છે. જ્યાં કૃષ્ણ જન્મની ઉજવણી માટે આયોજન કરાયું છે.