ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી: બે વ્યક્તિને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા : હત્યાને પગલે શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
થરાદમાં દરબાર અને રાજપૂત કોમના વ્યક્તિઓ વચ્ચે રવિવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સામાન્ય બાબતે ધિંગાણું થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ઇજા થવા પામી હતી. આ બાબતને લઇ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થવા પામી છે. પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ શહેરના દરબાર ગઢીમાં રહેતા દરબાર યુવકો અને રાજપૂત વાસમાં રહેતા રાજપૂત યુવકો વચ્ચે સામાન્ય ઝઘડો જીવલેણ હથિયારો વડેની મારામારીમાં પરીણમતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જે અંગે અર્જુનસિંહ જનકસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ‘તેઓ પોતાના ભાઇ જયદપિસિંહ વાઘેલા સાથે જૈન અગ્રણીઓની મિટિંગમાં જતા હતા. ત્યારે સામેથી આવેલા કનાભાઇ શંકરભાઇ રાજપૂતે જયદિપસિંહનો કોલર પકડી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી તેમણે વચ્ચે પડી છોડાવી મિટિંગ પુરી થતાં બહાર નિકળ્યા હતા.
ત્યાર બાદ ધીરસિંહ વાઘેલા, સુરેન્દ્રસિંહ વાઘેલા, કિશનસિંહ વાઘેલા તથા નરપતસિંહ વાઘેલા સાથે મળીને પૃથ્વી કોમ્પલેકસ પાસે આવી કનાભાઇને ‘કેમ ઝઘડો કર્યો હતો અને કોની ભૂલ હતી’ તેમ પૂછપરછ કરતાં પથ્થુભાઇ રાજપૂતે ‘તમે અહીંથી જતા રહો, વધારે ઝઘડો કરવો નથી’ કહી ચાલતા ચાલતા રાજગઢ આવતા હતા ત્યારે ટાંડા તળાવની પાળ પાસે આવતા પાછળથી પથુભાઇ રૂપસિંહ રાજપૂત, કનાભાઇ શંકરભાઇ રાજપૂત, સંજય પથુભાઇ રાજપૂત અને હરેશભાઇ પથુભાઇ રાજપૂત હાથમાં છરો અને લોખંડની પાઇપ તથા બીજા બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ હથિયારો લઇ હુમલો કર્યો હતો.
જેથી બળદેવસિંહ મીથુસિંહ ઝઘડો જોઇ છોડાવવા વચ્ચે પડતાં તેઓને ગંભીર ઇજા અને અર્જુનસિંહ અને જયદેવસિંહ તેમજ નરપતસિંહને ગંભીર ઇજા થઇ હતી. જેમાં બળદેવસિંહનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઘાયલોને ૧૦૮ ની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પી.એસ.આઇ. એન.ડી.ચૌધરીએ અર્જુનસિંહની ફરિયાદના આધારે તમામની સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બજારો ટપોટપ બંધ
થરાદમાં રાજપૂત અને દરબાર કોમના વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા બજારની દુકાનો ટપોટપ બંધ થઇ જવા પામી હતી અને રાત્રે લટાર મારવા નિકળતા લોકો પણ ઘરની બહાર નહી નિકળતાં શહેરમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
૨૦ વર્ષ જુનું વેર નિકળ્યું
પોલીસ ફરીયાદમાં અર્જુનસિંહે જણાવ્યું હતું કે, ‘૧૯૯૧ માં પોતાના કાકા હની ઉર્ફે હરીશચંદ્ર વાઘેલા થરાદના બે રાજપૂતોના ખૂન કર્યા હતા અને રાજપૂતોની છોકરી લઇને ભાગી ગયેલા હતા. જે આજદીન સુધી પકડાયા નથી. તે બાબતની દરબારો અને રાજપૂતોમાં વર્ષોથી અદાવત ચાલે છે અને વારંવાર નાની મોટી તકરારો થાય છે. જે બાબતનું મનદુ:ખ રાખી આજે હુમલો કરાયો હતો.