અંબાજીમાં સદભાવના સમાંતર કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ : ભાજપ ૧૯૯પથી પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યો છે
યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ કાર્યક્રમના સમાંતર કોંગ્રેસ દ્વારા સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવનારી ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને જડમૂળમાંથી ઉખેડી નાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સત્કર્મ ઉપવાસમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી ખાતે રવિવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલા સત્કર્મ ઉપવાસ છાવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીને ૧૯૯પની ચૂંટણીમાં ખેડૂતોને સિંચાઇ માટે વીજ કનેકશનનો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ વર્તમાન સમયે પ૭ તાલુકાઓમાં ડાર્કઝોન છે. ખેડૂતોને વીજ કનેકશનો આપવાના બદલે વીજ પ્લાન્ટોનું ખાનગીકરણ કરાયું છે. ભારત સરકાર પ્રજાજનોને વીજળી પ્રતિ યુનિટ ૧.પ૦ થી ર.૦૦ રૂપિયામાં આપે છે. જ્યારે ગુજરાત સરકાર જીઇબીનું ખાનગીકરણ કરી ખેડૂતોને વીજળી પ્રતિયુનિટ પાંચથી છ રૂપિયામાં આપી રહી છે. ખેતી માટે નવા વીજકનેકશન અપાતા નથી.
બીજી તરફ ટાટા માટે ૬૬ કે.વી.ના બે સબસ્ટેશન ઉભા કરી દેવાયા છે. વર્તમાન સરકાર ખેડૂતો નહીં પરંતુ ઉદ્યોગપતિઓની છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે ‘વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડને પ્રદર્શન બનાવ્યું હતું. અને પ૯ જેટલા મૃતદેહોને અમદાવાદ લાવી ગુજરાતને સળગાવ્યું હતું. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બે લાખ ઘરો સળગાવાયા હતા. ૭૧ હજાર લોકો જેલમાં પુરાયા હતા. જે પૈકી પ૦૦૦ લોકો અત્યારે પણ જેલમાં સબડી રહ્યા છે.
જ્યારે ર૦૦૭ની ચૂંટણીમાં આંતકવાદીઓના નામે રર વ્યક્તિઓના નકલી એન્કાઉન્ટર કર્યા હતા. જેનું પરિણામ ગુજરાતની પોલીસ ભોગવી રહી છે. અને ૨૯ પોલીસ અધિકારીઓ જેલમાં છે. અને હવે ર૦૧૨ની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે સદભાવના કરવા નીકળ્યા છે. જે તેમની સેડભાવના (ખરાબ ભાવના) જ ગણાવી શકાય. મુખ્યમંત્રીએ સદભાવના કરવી જ હોય તો જરૂરિયાતમંદોને પ્લોટ, ખેડૂતોને વીજળી, બેકાર યુવકોને રોજગારી આપવી જોઇએ નહી કે ગરીબ કલ્યાણ મેળો, શાળા પ્રવેશોત્સવ, વાંચે ગુજરાત, નવરાત્રિ ઉત્સવ, પતંગોત્સવના નામે પ્રજાને ગૂમરાહ કરવા જોઇએ. માટે આવનારી ર૦૧૨ની ચૂંટણીમાં ભાજપને જડમૂળમાંથી ઉખેડી નાંખવું જોઇએ. સત્કર્મ ઉપવાસ કાર્યક્રમમાં મુકેશ ગઢવી, જગદીશ ઠાકોર, મુકેશ ચૌહાણ સહિત જિલ્લા અને તાલુકાના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.