ઇડરમાં જળસ્ત્રાવ અંતર્ગત થતાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂટ
કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત જળસ્ત્રાવ વિકાસ એકમ અંતર્ગત ઇડર તાલુકાના સદાતપુરા ગામમાં વોટર શેડ પ્રોજેક્ટના નામે ફાળવવામાં આવેલ નાણાંમાંથી કૂવાનું કામ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થળ પર કામ પૂર્ણ થવાના ઝુલતા બોર્ડથી લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.
આ અંગે સદાતપુરા ગામના કિરીટભાઇ સી. પટેલ, પ્રકાશભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ આર. પટેલે જણાવ્યું છેકે, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ હિંમતનગર દ્વારા લાખો રૂપિયાનું ફંડ જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવ્યુ હતું. ત્યારબાદ જવાનપુરા, સદાતપુરા અને સાપાવાડા ગામે ત્રણ-ત્રણ લાખના કામો હાથ ધરવા જણાવાયું હતું. જેમાં બંધપાળા, અનુશ્રવણ તળાવ, ખેત તલાવડી, કૂવા-બોર રિચાર્જ, માટીપાળા સહિતના કામોને આવરી લેવાયા હતા.
સદાતપુરા ગામમાં આવેલ સ્મશાનગૃહ નજીકના કૂવાને ઊંડો કરવા R ૫૧ હજાર ફાળવવામાં આવ્યા હતા. પરંતુ કામ અધુરૂ હોવા છતાં સ્થળ પર તા. ૨૫-૦૮-૨૦૧૧ના દિવસે કામ પૂર્ણ થયાનું બોર્ડ લગાવી દેવાતાં સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયુ છે. વધુમાં આઇડબલ્યુએમપી-૩ જાદર પ્રોજેક્ટ અંતર્ગત કામ જ શરૂ ન થવા છતાં કામ પૂર્ણ થયાના લટકાવેલા બોર્ડથી લોકોમાં શંકાના વાદળ ઘેરાયા છે.
સ્મશાન અને કૂવાની ફરતે વાયર ફેન્સીંગના R ૫૩ હજાર ફાળવ્યા હતા. પરંતુ કામ હલકી ગુણવત્તાવાળુ થયાનો આક્ષેપ કરાયો છે ત્યારે તાલુકામાં થયેલ તમામ કામોની નિષ્પક્ષ તપાસ સોંપાય તેવી માંગ છે. આ અંગે જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમના અધિકારી પ્રશાંતભાઇએ જણાવ્યુ હતું કે, હયાત કૂવાને ઊંડો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કૂવામાં પથ્થર આવી જતાં કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધુ છે. જોકે ગ્રામજનો દ્વારા કામ થાય તેવી ઇચ્છા દર્શાવાતા પ્રોજેક્ટ ડાયરેકટરને જાણ કરવામાં આવી છે. તેઓની મંજુરી મળશે તો કામ હાથ ધરાશે.