શંખલપુરમાં ધર્મોત્સવના ત્રીજા દિવસે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાલા ત્રિપુરી સુંદરીના ચરણોમાં શીશ ઝુકાવ્યું
ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર દિવસભર ગૂંજતા રહ્યા
રાજ્યભરમાંથી દર્શન માટે ઊમટી પડેલા માઇભકતો
મહેસાણા જિલ્લાના શંખલપુર ગામે ૫૨૦૦ વર્ષ પછી યોજાયેલા બહુચર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શનિવારે ત્રીજા દિવસે પણ અસ્ખલિત વહેતાં ઝરણાંની જેમ ભકતોનો પ્રવાહ માઇ મંદિરે દર્શન કરવા દોડતો જોવા મળ્યો. કોઇ કચ્છના આધોઇથી આવ્યું હતું, તો કોઇ સૌરાષ્ટ્રના માંડપર, અવધ, જીવાપરથી. અમદાવાદ, સુરત, વડોદરા અને છેક મુંબઇના શ્રદ્ધાળુઓ પણ ખરા. સમગ્ર ચુંવાળ પંથક અને ઉત્તર ગુજરાતના ગામેગામથી મા બહુચરના પાવન દર્શનની હૈયે આશ લઇને હજારો ભકતો સવારથી જ માના ધામમાં પહોંચવા લાગ્યા. બપોર પછી તો હૈયે હૈયું ચંપાય તેવી ભીડ જામી. માનું વિશાળ મંદિર પણ શ્રદ્ધાના ઘૂઘવતા માનવ સમૂહથી નાનું પડવા લાગ્યું. માનાં દર્શન કરતા જાય અને ‘બોલ માડી બહુચર, જય જય બહુચર...’નો જયઘોષ પોકારતા જાય. દિવસભર માનો જયઘોષ ગૂંજતો રહ્યો. પ્રાથમિક અંદાજ મુજબ શનિવારે ચાર લાખથી વધુ માઇભકતોએ દર્શનનો લ્હાવો લીધો. તો પ્રતિષ્ઠા યજ્ઞમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે અભિમંત્રિત ૧૦૮ દ્રવ્યો વડે બહુચર માતાજી સહિત પરિવાર દેવોનો અભિષેક કરાયો.
વધુ અહેવાલ આગળની સ્લાઈડમાં વાંચો અને તસવીરોમાં માતાજીના મહેરામણના કરો દર્શન...