અંબાજીમાં મુખ્યમંત્રીના સદભાવના મિશનનું સમાપન
શાંતિ ,ભાઇચારા અને શક્તિના દર્શનથી વિરોધીઓ ચોંકી ગયા છે : મુખ્યમંત્રી
સદભાવના મિશનની શરૂઆત મારા માતૃશ્રીના ચરણવંદનથી કરી હતી. અને આજે પૂર્ણાહુતિ મા જગદંબાના ચરણ સ્પર્શ કરી રહ્યો છું. આ કાર્યક્રમ દરમિયાન વિરોધીઓએ ક્ષતિઓ શોધવાની કોશિષ કરી છે. સમગ્ર માહોલનો પોતાની તરફે લાભ લેવાની કોશિષ કરી છે. પરંતુ જનતાજનાર્દનના કલ્પનાતિત આર્શિવાદ સાંપડ્યા છે.
સમગ્ર સદભાવના કાર્યક્રમમાં શાંતિ ભાઇચારા અને શક્તિના દર્શનથી વિરોધીઓ ચોંકી ઉઠ્યા છે. તેઓ હવે આવનારા સમયમાં ઝંપીને બેસશે નહીં. અને વિરોધનો વંટોળ ઉભો કરશે. પરંતુ તેમને પહોંચી વળવાની શક્તિ મા જગદંબા આપશે.’ તેમ અંબાજી ખાતે રવિવારે યોજાયેલા સદભાવના સમાપન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.સદભાવના ઉપવાસના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂ.૧૭૦૦ કરોડની જાહેરાત કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સદભાવના ઉપવાસ કાર્યક્રમનું સમાપન રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે કરાયું હતું. જેમાં સદભાવના વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જનમેદનીને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘સદભાવના મિશનમાં લાખો લોકો જોડાયા છે. તે કલ્પનાતિત સુખદ અનુભવ છે. સદભાવના ઉપવાસ દરમિયાન કોઇ વિશે કહ્યું કર્યું નથી. કંઇ માગ્યું નથી. તેમ છતાં કાર્યક્રમની આલોચના કરનારાઓને જણાવવા માગું છું કે સદભાવના માટે લોકો પચ્ચીસ કિલોમીટરની યાત્રા કરીને આવ્યા છે.
તીર્થ યાત્રા માટે યાત્રા થાય છે તે સાંભળ્યું છે પરંતુ આ પ્રકારના કાર્યક્રમમાં યાત્રીકો આવે તે સમજવા માટે રાજનીતિના ચશ્માની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી છે. તેમને હવે ગ્રીન હાઉસ તરફ લઇ જવા છે. તેથી થોડી જમીનમાંથી પણ ખેડૂતો વધુ આવક મેળવી શકે.
મુખ્યમંત્રીએ રાષ્ટ્રભાષામાં ઉદ્બોધન કર્યું
સદભાવનાના મિશનના અંતિમ ચરણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મિડીયા કર્મીઓની વિનંતીથી રાષ્ટ્રભાષા હિંદીમાં ઉદ્બોધન કર્યું હતું. જ્યારે સદભાવનાના કાર્યક્રમમાં સવારથી સાંજ દરમિયાન વિદેશી ડોક્ટરોની ટીમ સહિત જિલ્લાભરમાંથી ઉમટેલા પ્રજાજનોએ મુખ્યમંત્રીને ભેટ-સોગાદો આપી હર્ષ વ્યક્ત કર્યા હતો.
કન્યા કેળવણી માટે દાનની સરવાણી
પાલનપુર : મુખ્યમંત્રીના સદભાવના મિશનના સમાપન પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની અનેક સંસ્થાઓ, મંડળીઓ અને ટ્રસ્ટોએ મુખ્યમંત્રીના કન્યા કેળવણી ફંડમાં દાનની સરવાણી વહાવીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચેક અર્પણ કર્યા હતા.જેમાં મુખ્યત્વે જિલ્લાની દૂધ મંડળીઓ વતી બનાસડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળે R ૩૧ લાખ, સુભાષ ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.૧ લાખ, પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા રૂ.ર લાખ, બનાસબેંક કર્મચારી મંડળ દ્વારા રૂ.૧,૧૧,૧૧૧, જિલ્લાની તમામ મંડળીઓ વતીરૂ. ૧૬ લાખ અને બનાસકાંઠા પ્રા.શિ. મંડળ વતી રૂ.૧ લાખ રપ હજાર ઉપરાંત અનેક સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન ચેકથી કન્યા કેળવણી ફંડમાં આપ્યું હતું.
પ્રજાજનોએ સદભાવના ઉજાગર કરી છે
અંબાજી ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘પ્રજાજનોએ સદભાવના ઉજાગર કરી છે. જેમણે ર૦લાખ બાળકોને તિથી ભોજન કરાવ્યું છે. ૬ લાખ કિ.ગ્રા.થી વધુ અનાજ દાનમાં આપ્યું છે. કન્યા શિક્ષણ માટે ચાર કરોડથી વધુ રૂપિયાનું દાન અપાયું છે. ૭૦ હજાર જેટલી પ્રભાતફેરીમાં ર૦ લાખ લોકોએ ભાગ લીધો છે.’
ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કરવા લાઇન લાગી છે
સદભાવના ઉપવાસના અંતિમ ઉપવાસની દેશભરમાં ચર્ચા છે. આ સદભાવના મિશનએ એક નવા સંકલ્પની શરૂઆત: જેને અન્ય રાજ્યોની પ્રજા રાજનિતીમાં વિશ્વાસના પ્રતિક તરીકે જોઇ રહી છે. અગાઉ ગુજરાતી વેપાર માટે બહાર જતો આજે ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કરવા લાઇન લાગી છે. -સ્મૃતિ ઇરાની, અભિનેત્રી
કોંગ્રેસે દેશની તિજોરી લૂંટવાનું કામ કર્યું છે
‘દિલ્હીમાં બેઠેલી સરકારે હિન્દુસ્તાનની તિજોરીને લૂટવાનું જ કામ કર્યું છે. ગયા વર્ષ તેમનું ગોટાળાનું રહ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીએ વિકાસ માટે દસ વર્ષમાં ૧ લાખ ૭૬ કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસના એ રાજાએ ૧.૭૬ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. કોંગ્રેસના કાયદા મંત્રીની વિરુદ્ધમાં ચૂંટણી પંચે રાષ્ટ્રપતિએ પત્ર લખવો પડ્યો છે. કાયદા મંત્રી જ કાયદો પાળતા નથી. કેવી કમનસીબી છે.’
પુરૂષોત્તમ રૂપાલા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
કોંગ્રેસની સરકાર વખતે લોકોને હિજરત કરવી પડતી હતી
પંદરવર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લો પછાત, ગરીબ અને અશિક્ષિત ગણાતો હતો. અગાઉ દુષ્કાળમાં ટેન્કરો ચલાવવા પડતા, ઢોરવાડા ખોલવા પડતા હતા. કોંગ્રેસના શાસનમાં અહીની પ્રજાને દુષ્કાળમાં હિજરત કરવી પડતી હતી. ત્યારે છેલ્લા દસ વર્ષમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં સર્વાંગી વિકાસ થયો છે. નર્મદા કેનાલના કામથી બનાસકાંઠામાં પશુપાલન ઉદ્યોગને મોટી રાહત મળી છે. નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા જિલ્લાના દાંતીવાડા સીપુડેમમાં પાણી ભરવા માટે R ૬૦૦ કરોડની યોજના મંજુર કરીને ૩૦ ટકા કામ પૂર્ણ કરાયું છે. - નિતીન પટેલ, પ્રભારી મંત્રી, બનાસકાંઠા
સદભાવના સમાપનમાં કોણે શું કહ્યું ?
ગુજરાતમાં ૧૦ વર્ષથી સદભાવના થકી કામ કરતી સરકારના મીઠા ફળ પ્રજાને મળ્યા છે. શાંતિ અને સલામતીમાં ગુજરાત નંબર વન છે. ગુજરાતના વિકાસની હરિફાઇ કરી શકે તેવું દેશનું કોઇ રાજ્ય નથી. ગણપત વસાવા, અધ્યક્ષ, ગુજરાત વિધાન સભા
દેશના અન્ય રાજ્યના લોકો કહેછે ‘અમને ગુજરાતના વિકાસની મીઠી ઇષૉ થાય છે. જ્યાં-જ્યાં સદભાવના થાય છે ત્યાં સતકર્મ થાય છે. જેના થકી ગુજરાતનો વિકાસ થાય છે. - રમેશભાઇ ઓઝા, કથાકાર
જનતાના એજન્ડા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસ કરીને સમાજમાં સંવેદના જગાવી છે. આ વિકાસને જોઇને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. અને કેન્દ્ર સરકાર તેની એજન્સીઓ દ્વારા રાજ્ય સરકારને તહસ-નહસ કરવા પ્રયાસ કરી રહી છે. દસ વર્ષથી નરેન્દ્ર મોદીની બદબોઇ કરીને રાજ્યના વિકાસના યજ્ઞમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. - આર.સી.ફળદુ, અધ્યક્ષ, પ્રદેશ ભાજપ
દુષ્કાળના સમયમાં જિલ્લામાંથી પ્રજાને રોજગારી માટે બહાર જવું પડતું હતું. આજે નર્મદાના પાણી આવતા કૃષિક્ષેત્રે વિકાસ થતાં અઢી લાખ મજુરોને રોજગારી મળી રહી છે. -શંકરભાઇ ચૌધરી, ધારાસભ્ય, રાધનપુર
દેશના વિકાસમાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગુજરાતમાંથી દૂધ ન આવે તો દિલ્હીમાં ચા બનવાનું બંધ થઇ જાય. કોંગ્રેસના લોકોના મોઢે ગુજરાતના વિકાસની વાતો નિકળી રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના જ નહીં પરંતુ દેશના નેતા તરીકે ઉભરી રહ્યા છે. - બલબીર પૂંજ, સાંસદ, રાજસ્થાન
સદભાવનાનો આવો કાર્યક્રમ પહેલી વખત જોયો છે. રાજનિતી ધર્મ નિરપેક્ષ કેવી રીતે હોઇ શકે ? ધર્મ નિરપેક્ષ નહીં પરંતુ સાંપ્રદાયિક નિરપેક્ષ કહેવું જોઇએ. -સત્યાનંદજી મહારાજ, રવિધામ, તા.ધાનેરા