શ્રીલંકા ખાતે યોજાનાર ત્રીકોણીય શ્રેણી માટેની ટીમની પસંદગી શનિવારે થનાર છે. ત્યારે ભારતનો ઝડપી અને અનુભવી બોલર ઝહીર ખાન પુનરાગમન કરવા માટે તૈયાર થઇ ગયો છે. જો કે, તેના સમાવેશને લઇને હજૂ દુવિધામાં છે. જ્હોનિસબર્ગથી પરત ફર્યા બાદ હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાઇ ગયો છે. અને જો એકેડમીના સૂત્રો પર વિશ્વાસ રાખીએ તો તે પસંદગી પામવા માટે ઉપલબ્ધ છે.
જ્યારે બીજી તરફ ઇજાના કારણે બીજી ટેસ્ટ ગુમાવનાર ગૌતમ ગંભીરની પસંદગી ત્રીકોણીય શ્રેણી માટે કરવામાં નહીં આવે. પસંદગી સમિતિના સૂત્રોએ જણાવ્યા અનુસાર સમિતિ ડાબોડી બેટ્સમેનને ઘૂંટણની ઇજામાંથી બહાર આવવા માટે થોડો સમય આપવા માગે છે.
ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, વિદ્ધિમાન સાહા, મુનાફ પટેલ, અભિમન્યુ મિથુન અને અમિત મિશ્રા ભારત પરત ફરશે. ઉપરાંત પહેલી અને બીજી ટેસ્ટમાં નબળું બોલિંગ પ્રદર્શન કરનાર ઇશાંત શર્માને પણ પડતો મુકવામાં આવે તેવી સંભાવનાઓ છે.
બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સેહવાગ પણ ત્રીકોણીય શ્રેણી માટે તૈયાર છે. ત્યારે પસંદગી સમિતિ માટે ત્રીકોણીય ટીમની પસદંગી કરવી અઘરી રહેશે.