2010 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં હૈદરાબાદના સ્ટાઈલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનુ નામ પણ સામેલ છે. તેને પદ્મ શ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. લક્ષ્મણને આ એવોર્ડ ક્રિકેટની તેની સિદ્ધિઓને ધ્યાનમાં રાખતા આપવામાં આવ્યો છે.
મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બનનારા લક્ષ્મણનો જન્મ 1 નવેમ્બર 1974ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત નવેમ્બર 1996માં દક્ષિણ આફ્રિકા સામે કરી હતી. તે સમયે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે તે જલદીથી ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી બની જશે.
સ્વભાવથી શાંત એવા લક્ષ્મણે અત્યાર સુધીમાં 120 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 43.32ની સરેરાશ સાથે કુલ 7903 રન બનાવ્યા છે. જેમાં 16 સદી અને 49 અડધી સદી છે. જ્યારે વન ડેમાં તેણે 86 મેચમાં 30.76ની સરેરાશ સાથે 2338 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 10 અડધી સદી સામેલ છે.
લક્ષ્મણની કેટલીક વેરી વેરી સ્પેશિયલ ઈનિંગ્સ
ડરબનમાં રમેલી ઐતિહાસિ મેચ વિનિંગ ઈનિંગ્સ
લક્ષ્મણ ભલે ભારતના બીજા દાવમાં સદી ફટકારવાથી (96 રન પર આઉટ) ચૂકી ગયો હતો પરંતુ તેણે ભારતને એક એવા મુકામ પર લાવી દીધુ હતું કે ત્યાંથી ટીમને જીતની આશાઓ દેખાવા માંડી હતી. 2010ની ડરબન ટેસ્ટમાં જ્યાં પહેલા બે દિવસની અંદર 24 વિકેટ પડી હતી. ત્યાં ત્રીજા દિવસે લક્ષ્મણની આ ઈનિંગ્સ તે સાબિત કરી છે કે તે યોગ્ય ટેક્નિકથી બેટિંગ કરવામાં આવે તો કિંગ્સમીડ જેવી મુશ્કેલ પિચ પર પણ રન બનાવી શકાય છે. આ ઈનિંગ્સ દરમિયાન લક્ષ્મણે 171 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ્સની ખાસ વાત એ હતી કે તેણે પાંચમી વિકેટ માટે પૂજારા સાથે 37, છઠ્ઠી વિકેટ માટે ધોની સાથે 48 અને ઝહિર ખાન સાથે આઠમી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવી હતી.
અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે લાજ બચાવી હતી
લક્ષ્મણે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદ ટેસ્ટમાં તારણહારની ભૂમિકા નીભાવી હતી અને ટીમ ઈન્ડિયાની નાવડીને ડૂબતી બચાવી હતી. લક્ષ્મણે ના ફક્ત બેટિંગ કરી પરંતુ પૂંછડિયા બેટ્સમેન હરભજન સિંહને પણ પ્રોત્સાહન આપીને બીજા છેડે પોતાની સાથે રાખ્યો હતો. કાંડાની કમાલ બાદ લક્ષ્મણની આ બીજી પ્રતિભા છે. અમદાવાદ ટેસ્ટમાં લક્ષ્મણે ભજ્જી સાથે સાતમી વિકેટ માટે 163 રનની પાર્ટનરશિપ કરી હતી.
કાંગારૂઓના મોઢામાંથી છીનવી લીધો હતો જીતનો કોળીયો
મોહાલીમાં કાંગારૂઓ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયા સંકટમાં આવી ગઈ હતી. તમામ લોકોએ મેચ જીતવાની આશાઓ છોડી દીધી હતી. પરંતુ બીજા દાવમાં પૂંછડિયા બેટ્સમેન ઈશાંત શર્મા સાથે મળીને લક્ષ્મણે ભારતને યાદગાર અને રોમાંચક જીત નોંધાવી હતી. ઈશાંત અને લક્ષ્મણ વચ્ચે 9મી વિકેટ માટે 81 રનની ભાગીદારી નોંધાવી હતી.
કોલકત્તાની મેરાથોન ઈનિંગ્સને કોણ ભૂલ્યું હશે
ઓસ્ટ્રેલિયા સામે કોલકત્તા ટેસ્ટના બીજા દાવમાં લક્ષ્મણે બેવડી સદી ફટકારી હતી તે તો તમામ લોકોને હજી પણ યાદ છે. ફોલોઓન મળ્યા બાદ પણ આ બેટ્સમેને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી હતી. ભારત શ્રેણીમાં 1-0થી પાછળ હતું. અને કોલકત્તામાં ફોલોઓનમાં વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડે મોરચો સંભાળ્યો હતો. આ બન્ને ખેલાડીઓએ 376 રન બનાવ્યા હતા અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. વીવીએસ લક્ષ્મણે 281 રન બનાવ્યા હતા. જેમાં 44 ચોગ્ગા સામેલ છે.
બીજા દાવનો વિશેષજ્ઞ બેટ્સમેન
લક્ષ્મણને બીજા દાવનો નિષ્ણાંત કહેવામાં આવે તો ખોટું નથી. 14 વર્ષની કારકિર્દીમાં હૈદરાબાદના સ્ટાઈલિશ બેટ્સમેને 16 સદી ફટકારી છે. જેમાં પાંચ બીજા દાવમાં ફટકારી ચે. બીજા દાવમાં બેટિંગ કરતા તેણે 18 અડધી સદી સાથે 51ની સરેરાશ સાથે 2968 રન બનાવ્યા છે.