રાજધાનીમાં ડેન્ગ્યુ ફેલાવાની ઘટનાઓની કોમનવેલ્થ ગેમ્સ પર અસર પડશે તેવી સંભાવનાઓને નકારીને આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડીએ જણાવ્યું હતું કે રમતોના આ મહાકુંભમાં આ રોગના કારણે આંતરરાષ્ટ્રીય ભાગીદારી પ્રભાવિત થશે નહીં.
દરમિયાનમાં કોમનવેલ્થ ગેમ્સમાં થયેલા ભ્રષ્ટાચારમાં પોતાની ક્યાંય સંડોવણી નથી તેમ જણાવીને કલમાડીએ ઉમેર્યું હતું કે હું કોઇ પણ પ્રકારની તપાસ કરવા માટે તૈયાર છું.
કલમાડીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને દિલ્હી સરકારે ત્રીજી ઓક્ટોબરથી યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે રાજધાની સ્વચ્છ રાખવા માટેનાં જરૂરી પગલાં ભર્યા છે. અમને આશા છે કે ડેન્ગ્યુથી ફેલાતા રોગ ૧૪ દિવસના ગાળામાં ઘટી જશે. રમતો દરમિયાન દેશના તથા વિદેશના રમતવીરો સહિત અધિકારીઓને વાયરલ બીમારીથી બચાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન ગુલામ નબી, દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિત અને વિદેશમંત્રાલયના અધિકારીઓ હળીમળીને કામ કરી રહ્યા છે.
બીજી તરફ ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત પીટર વિર્ગસે જણાવ્યું હતું કે અમારા દેશ દિલ્હીમાં ડેન્ગ્યુ અંગે પોતાના નાગરિકોને વિશેષ સૂચના તથા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. ડેન્ગ્યુના ભય વચ્ચે પણ અમે કોમનવેલ્થ ગેમ્સ માટે અમારી સૌથી મોટી ટુકડી દિલ્હી મોકલીશું. ઓસ્ટ્રેલિયા સંભવિત ૬૫૦ રમતવીરો અને અધિકારીની ટુકડી ભારત મોકલશે.