ગયા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમ પર થયેલા આતંકવાદી હુમલામાં લાહોર હાઇકોર્ટના જજે પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા અંગે કરવામાં આવેલી બેદરકારીની કડક શબ્દોમાં ટીકા કરી છે.
જજ શબ્બાર રજા રિઝવીએ પોતાના રીપોર્ટમાં ત્રણ માર્ચ 2009એ થયેલી ઘટનામાં 12થી વધારે પોલીસકર્મીઓને અયોગ્યતા બદલ દોષી ઠેરવ્યા છે. આ રીપોર્ટ ટૂંક સમયમાં આઇસીસીને સોંપવામાં આવશે.
આ હુમલો ત્યારે થયો હતો જ્યારે શ્રીલંકાના ખેલાડીઓની બસ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ જઇ રહી હતી. આ હુમલામાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે સાત શ્રીલંકન ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા.ત્યારથી લઇને અત્યાર સુધી પાકિસ્તાનમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. અને પાકિસ્તાન ટીમને પોતાના મેચ અન્ય દેશોમાં આયોજન કરવું પડી રહ્યું છે.
રિઝવીએ રિપોર્ટમાં લખ્યું છે કે વરિષ્ઠ પોલીસ અધિકારી હાજી હબીબુર રેહમાન હુમલા સમયે ઘટનાસ્થળ પર હાજર ન હતા. જ્યારે તેઓને શ્રીલંકા ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. મને લાગ્યું કે ઘટના સમયે તેઓ સ્ટેડિયમની આજૂબાજૂ અથવા તો સવારે આઠ વાગ્યા પહેલા પોતાના કાર્યલયમાં હશે. પરંતુ તેઓ ત્યાં ન હતા. તેઓ ઘટના થયા બાદ ત્યાં આવ્યા હતા.
જજે અન્ય પોલીસ કર્મી અમજદ જાવેદ સલીમીએ પણ પોતાની જવાબદારી પ્રત્યે દાખવેલી નિષ્કાળજી તેઓની ટીકા કરી છે. સલીમીએ માન્યુ હતું કે તેઓને માલુમ ન હતું કે હુમલો થયો તે સમયે એ વિસ્તારના પોલીસકર્મી હાજર હતા કે નહીં. રિઝવીએ કહ્યું કે સલીમીને માત્ર તેમના વિશે જ માલુમ હતું. તેમણે મારી સમક્ષ વિરોધાભાસી નિવેદન આપ્યું અને તેમનામાં સાચું કહેવાની જરાપણ હિમ્મત ન હતી. રિઝવીએ પોલીસ સુપરિટેન્ડેટ મોહમ્મદ આબિદી પર પણ કામ પ્રત્યે બેદરકારી દાખવવા બદલનો આરોપ લગાવ્યો છે.