ટીમ ઇન્ડિયાની સૌથી મોટી સમસ્યા હોય તો તે બોલિંગ છે. અને તેને ધ્યાનમાં લઇની ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા સમય પહેલા ટીમમાં સમયાંતરે બોલરોને રોટેટ કરવા માટે બીસીસીઆઇની પસંદગી સમિતિને જણાવ્યું હતું. તેમજ અગાઉ પણ પૂર્વ ખેલાડીઓએ ભારતના ખરાબ પ્રદર્શનને લઇને ખેલાડીઓને રોટેટ કરવા ભાર મુક્યો હતો.
જો કે, અહીં એ વાત અંગે ચર્ચા નથી કરી રહ્યાં કે ખેલાડીઓને રોટેટ કરવા જોઇએ કે નહીં. પરંતુ સ્પિન બોલિંગના બાદશાહ ગણાતા ભારત દેશની રાષ્ટ્રીય ટીમમાં આજે સ્પિનરો સંઘર્ષ કરતા જોવા મળી રહ્યાં છે તે અંગે છે. અને તેની પાછળનું કારણ સમિતિ ઝડપી બોલરો પર વધારે ભાર મુકી રહી છે તે છે. એક સમયે ટીમ ઇન્ડિયા પાસે ચંદ્રશેખર, વેંકટ રાઘવન, પ્રસન્ના, શિવરામનક્રિશ્ન, મનોજ પ્રભાકર, અનિલ કુંબલે જેવા સ્પિન બોલરો હતા. જ્યારે આજે સઘળો દારોમદાર હરભજન સિંહ પર રાખવામાં આવી રહ્યો છે.
અનિલ કુંબલેએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ નિવૃતિ લીધા પછી સ્પિન બોલિંગની સંપૂર્ણ જવાબદારી હરભજન સિંહને આપવામાં આવી છે. જો કે, તે આ જવાબદારી પર ખરો ઉતર્યો નથી. તે ક્યારેક શાનદાર બોલિંગ પ્રદર્શન કરે છે તો ક્યારેક તે આખી શ્રેણી દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળે છે. બીજી તરફ તેને સાથ આપવા માટે ટીમમાં અવારનવાર યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પરંતુ તેઓ પણ જોઇએ તેટલા મદદરૂપ થયા નથી.
ટીમમાં રમેશ પવાર, મુરલી કાર્તિક, પિયુષ ચાવલા, અમિત મિશ્રા જેવા સ્પિન બોલરો આવી ગયા. પરંતુ તેઓ લાંબો સમય સુધી ટીમમાં સ્થાન પામી શક્યા નહીં. રમેશ પવારની બોલિંગ થોડેક અંશે હરભજન કરતા સારી કહીં શકાય તેમ હતી. પરંતુ ઓછા અનુભવના કારણે તેઓ ટીમમાં સ્થાન પામી શક્યા નહીં. જ્યારે મુરલી કાર્તિક હાલ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. છતાં પસંદગી સમિતિ તેની અવગણના કરી રહ્યું છે.
હાલના સમયે પ્રજ્ઞાન ઓઝા અને રવિચંદ્રન અશ્વિનને હરભજન સિંહની સાથે સ્પિન બોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, આપણી પાસે કુલમાની પરિદા, મોહનિસ પરમાર, ઇક્બાલ અબ્દુલા, રાજેશ પવાર જેવા યુવા સ્પિન બોલર છે. પરંતુ રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા તેઓની અવગણના કરવામાં આવી રહી છે. અને તેનું કારણ છે. અપુરતું પ્રશિક્ષણ.
બધા એ વાત જાણે છે. કુંબલેની નિવૃતિ બાદ ટીમ ઇન્ડિયાને કોઇ સારો સ્પિન બોલર મળ્યો નથી. અને જો બીસીસીઆઇ સ્પિન બોલિંગ પ્રત્યે ગંભીરતના નહીં દાખવે તો એક સમય એવો આવશે કે ભારતીય ક્રિકેટ ટીમ પણ સ્પિન બોલિંગની દ્રષ્ટિએ વિદેશી ટીમોની જેમ એક સામાન્ય કક્ષાની ટીમ બની જશે. બીસીસીઆઇએ કુંબલે જેવા સ્પિન બોલરોને ભારતના યુવા બોલરને તૈયાર કરવા માટેની જવાબદારી સોંપવી જોઇએ.