આ મહિલા પત્રકારે એક સંવેદનશીલ મુદ્દાને કેવી રીતે મીડિયા અને રાજકારણીઓ પોતપોતાનો લાભ ખાટે છે તેની માર્મિક રીતે રજુઆત કરી છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પીપલી લાઇવ’ જો તમે જોઇ હોય તો કદાચ એની પટકથા તમને થોડી વાર માટે સ્પર્શી પણ ગઇ હશે, પરંતુ આ ફિલ્મનું સૌથી માર્મિક ર્દશ્ય ભાગ્યે જ કોઇના ધ્યાનમાં આવ્યું હશે. ગીરવે મૂકેલી જમીન ન છોડાવી શકતા અને ભૂખમરાની હાલત ન સહેવાતા ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાય છે એ વાત તો આપણા દેશમાં હવે સામાન્ય બની ગઇ છે, પણ આ ફિલ્મમાં જે ખેડૂત આત્મહત્યા કરવાનું નક્કી કરે છે તેને મીડિયા ‘હીરો’ બનાવીને પ્રસ્તુત કરે છે.
છેલ્લી ઘડીએ આ ખેડૂત ક્યાંક ભાગી જાય છે ત્યારે તેને શોધવા ફાંફા મારી રહેલા મીડિયાને એટલી નોંધ લેવાની ફુરસદ નથી હોતી કે એ જ ગામની સીમમાં એક ગરીબ ખેડૂત પોતાની જમીન ગુમાવી દીધા પછી માટી ખોદીને વેચે છે અને જે પૈસા મળે તેમાંથી પેટ ભરે છે એ ગરીબ પોતે જે ખાડો ખોદતો હતો, તેમાં જ મૃત્યુ પામે છે.
આખા ગામમાં અને મીડિયાનો એક પત્રકાર આ વાત જાણવા છતાં કોઇને એ મૃત ખેડૂતની એટલી પરવા નથી જેટલી પેલા નાસી છુટેલા આત્મહત્યાની વાત કરનારા ખેડૂતની છે. અહીં જો કોઇ સમજી શકે તો કેટલી માર્મિકતા છુપાયેલી છે, તેનો ખ્યાલ આવી શકે છે. સમગ્ર ફિલ્મ જોતાં એવું લાગે કે આ ફિલ્મ કોઇ અનુભવી દિગ્દર્શકની કમાલ છે, પણ આ ફિલ્મની ડિરેક્ટર એક નવીસવી મહિલા છે, જેનું નામ છે અનુષા રિઝવી.
અનુષાની દિગ્દર્શિકા તરીકેની આ પ્રથમ જ ફિલ્મ છે અને જે રીતે અનુષાએ દેશમાં મહત્વનો પ્રશ્ન બનેલા અને સંસદમાં પણ ચર્ચાનો વિષય બની ગયેલા ખેડૂતોના આત્મહત્યાના વિષયની ચોટદાર રજુઆત કરી છે, તે ખરેખર પ્રશંસનીય છે. એમાંય જ્યારે અભિનેતા આમિરખાનને પટકથામાં રસ જાગ્યો હોય, ત્યારે સ્વાભાવિક છે કે તેમાં કંઇક તો એવું હોવાનું જે પ્રેક્ષકોને પણ પસંદ પડે. અનુષાની પ્રથમ ફિલ્મ ‘પીપલી લાઇવ’ રિલીઝ થતાં પહેલાં જ ખૂબ ચર્ચાઇ ગઇ હતી. આ ફિલ્મ અત્યાર સુધીમાં છથી વધારે આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકી છે, ત્યારે અનુષા રિઝવીના આનંદનો પાર નથી.
દિલ્હીસ્થિત અનુષા રિઝવી આમ જોઇએ તો પોતાની કારકિર્દીની શરૂઆતથી જ મીડિયા સાથે સંકળાયેલાં છે. બોલિવૂડમાં ગણતરીની મહિલા ફિલ્મ ડિરેક્ટર્સ છે, ત્યારે પોતાની પ્રથમ ફિલ્મથી જ અનુષા રિઝવીની ગણતરી સફળ ડિરેક્ટર્સ સાથે થવા લાગી છે. અનુષાએ જ્યારે આ ફિલ્મ માટે સૌપ્રથમ વાર આમિરનો સંપર્ક કર્યો. એ વખતે શરૂઆતમાં તો આમિરે હસીને વાત ટાળી દીધી, પરંતુ પછી તેને લાગ્યું કે સ્ક્રિપ્ટમાં દમ છે અને એણે અનુષા સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું.
અનુષા કહે છે, ‘મારે એક લો બજેટ ફિલ્મ બનાવવી હતી અને તે સાથે મારી ઇચ્છા એવા વિષયને લોકો સામે રજુ કરવાની હતી જે પ્રેક્ષકોના મનને સ્પર્શી જાય. આ ફિલ્મમાં ખેડૂતો આત્મહત્યા કરે છે એ બાબતને મેં રજુ કરી છે, પણ તેમાં કોઇ સોલ્યુશન દર્શાવવાને બદલે મેં એ સમસ્યા તરફ જોનારાનું ધ્યાન આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.’
હાલમાં અનુષા પોતાની આ ફિલ્મને પ્રેક્ષકોએ સ્વીકારી હોવા છતાં એમ જ કહે છે, ‘મને ખબર છે કે મારી આ ફિલ્મ દ્વારા કંઇ બદલાવાનું નથી. તેમ છતાં મારો આ એક પ્રયત્ન છે કે કદાચ લોકોમાં આના કારણે જાગૃતિ આવે અને તેઓ જે ચાલ્યું આવે છે તેમાં થોડો પણ સુધારો લાવવા માટે આગળ આવે તો મારી મહેનત લેખે લાગેલી અને સાચી સફળતા મળી ગણાશે.’
અનુષા રિઝવી દિલ્હીમાં એનડીટીવી ચેનલની પત્રકાર તરીકે કામ કરી ચૂક્યાં છે અને એમણે કેટલીક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે. અનુષા અહીંથી જ અટકી જાય એમ નથી. પોતાના પતિ મહેમૂદ ફારૂકી સાથે મળીને અનુષા એક થિયેટર ગ્રૂપ પણ ચલાવે છે, જેનું નામ ‘દસ્તક’ છે. એ કહે છે, ‘અમે બંને આ ગ્રૂપ સાથે સક્રિયતાથી જોડાયેલાં છીએ અને યુવાન કલાકારોને તાલીમ આપીએ છીએ. મારા માટે આ ગ્રૂપ મારી રચનાત્મક જિંદગીની જીવાદોરી સમાન છે.’
અનુષાની ‘પીપલી લાઇવ’ને ડર્બન ફિલ્મ ફેસ્ટિવલમાં ફર્સ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. અત્યારે તો આ રચનાત્મક મહિલા ડિરેક્ટરે સારી આશા જગાવી છે. બોલિવૂડમાં સમસ્યાપ્રધાન ફિલ્મો બનાવતી મહિલા દિગ્દર્શકો તો ઘણી છે, પરંતુ આવી ફિલ્મ બનાવીને બોક્સઓફિસ પર પણ સફળતા મેળવી હોય તેવી તો અનુષા રિઝવી જેવી ભાગ્યે જ કોઈ હશે.
પ્રતિભા