૯૪ વર્ષીય ભગવતીભાઈ શ્રોફ આખું જીવન સતત સક્રિય શી રીતે રહી શક્યા?
સામાન્યપણે કેટલા વર્ષે નિવૃત્ત થવાય... ૬૦, ૭૦, ૮૦ વર્ષે? પણ, અહીં તો ૯૪ વર્ષની વયે પણ પ્રવૃત્તિમય જીવન જિવાય છે! મુંબઈસ્થિત કાંદિવલી (વેસ્ટ)માં રહેતા ભગવતીભાઈ શ્રોફને મળવા જેવું છે. એકવડિયો ટટ્ટાર બાંધો, માથા પરના કુદરતી રીતે જ કાળાઘટ્ટ વાળ અને મજબૂત દંતપંકિત. સરળ અને સ્વ પ્રતિભા ધરાવતા ભગવતીભાઈ અનેક સામાજિક તેમ જ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
રોજ સવારે છ - સાડા છ વાગે શરૂ થતો એમનો દિવસ રાત્રે સાડા દસ સુધી ધમધમતો રહે છે. રાહત દરે તબીબી સેવા આપતા અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા હિતવર્ધક મંડળના તેઓ છેલ્લાં ૨૫ વર્ષથી પ્રેસિડન્ટ છે. આજે પણ આ જ સંસ્થાના કાર્યાલયમાં તેઓ રોજ સવારે ૯.૩૦ થી ૧૨ દરમિયાન હાજર હોય છે. એમની તંદુરસ્તીનો રાઝ પૂછતાં તેઓ હસીને જણાવે છે, ‘ઘરે બેસીને માંદા પડવા કરતાં કાર્યરત રહેવું સારું!’
૧૯૩૭થી ફક્ત ખાદીનાં જ વસ્ત્રો પહેરતા ભગવતીભાઈ ભરૂચ નજીકના જંબુસર ગામમાં દસમા ધોરણ સુધીનું શિક્ષણ લઈ ૧૯૪૭માં મુંબઈ સ્થાયી થયા. ૧૯૪૯માં પત્નીનું નિધન થયું. આ ઘટનાથી શરૂઆતથી જ સેવાભાવી વૃત્તિ ધરાવતા ભગવતીભાઈના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને તેઓ સામાજિક સેવા તરફ વળી ગયા. તે પછી ૧૯૬૮માં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા અને લગભગ સત્તર વર્ષ સુધી નગરસેવક તરીકે સક્રિય રહ્યા.
ભાઈ-ભાભી અને તેમના પુત્ર સાથે રહેતા નિ: સંતાન ભગવતીભાઈને વાંચનનો જબરો શોખ છે, એટલે એમને એકલતા ક્યારેય નથી સાલતી. ઢગલાબંધ છાપાં અને સામયિકો એમને ભરપૂર જ્ઞાન સાથે મનોરંજન પૂરું પાડે છે. નવાઈની વાત તો એ છે કે બપોરના ભોજનમાં માત્ર એક રોટલી અને થોડા દાળભાત તથા ડીનરમાં બે ભાખરી અને શાક લેતા ભગવતીભાઈ ક્યારેય કોઈ પણ પ્રકારનો યોગ કે કસરત કરતા નથી!
‘હા, આટઆટલી પ્રવૃત્તિઓ અને કામકાજ વરચે પણ આખા વર્ષ દરમિયાન એક મહિનો હવાફેર માટે બહારગામ જવાનું હું ક્યારેય ચૂકયો નથી,’ તેઓ કહે છે. ફરવાનું હોય કે ફિલ્મ જોવા જવાનું હોય તેઓ તૈયાર જ હોય! પોતાના જીવનરસને ભગવતીભાઈ શ્રોફે આ ઉંમરે પણ સૂકાવા નથી દીધો...આને કહેવાય જીવન, આને કહેવાય જુસ્સો!