મુંબઈની અશ્વિનીકુમાર મેડિકલ રિલીફ સોસાયટી જરૂરિયાતમંદોને ઓછા ભાવે દવા પૂરી પાડવા સહિતનાં ઘણાં સમાજૉપયોગી કામ કરે છે.
સત્કાર્યને સીમા નથી હોતી. એ તો સુવાસની જેમ પ્રસર્યા જ કરે છે. વરિષ્ઠ નાગરિકોને ઓછી કિંમતે મળતી દવાની ‘ઔષધગંગા યોજના’ આવી જ એક પ્રવૃત્તિ છે. માતૃસંસ્થા અશ્વિનીકુમાર મેડિકલ રિલીફ સોસાયટીના નેજા હેઠળ વનવિહારી ગ્રુપ દ્વારા અમલમાં મુકાયેલી ઔષધગંગા યોજના ઉપરાંત બીજા અનેક પ્રોજેકટ્સ વિશે ડો. સી.કે. રાયગગા વિગતે વાત કરે છે. માણસ રિટાયર થાય એટલે એક બાજુ આવક બંધ થાય અને વય વધતા રોગ પગપેસારો કરવા માંડે. વધતી જતી મોંઘવારીમાં મહિનેદહાડે થતો દવાનો ખર્ચ મઘ્યમવર્ગીય માનવીને કેવી રીતે પરવડે? ડો. રાયગગા કહે છે, ‘એક જ દવા અલગ અલગ કંપની બનાવતી હોય એટલે બધાના ભાવ જુદા જુદા હોય. ધારો કે તમે બ્લડપ્રેશરની દવા કોઇ ચોક્કસ કંપનીની લેતા હો તો શકય છે કે બીજી કોઈ કંપનીની દવા એના કરતાં અડધા ભાવની હોય.’
મઘ્યમવર્ગીય લોકોનો વિચાર કરી આ વનવિહારી ગ્રુપ અને તેરસિંહભાઇએ ઔષધગંગા યોજનાનું બીજ રોપ્યું. વાત આગળ વધારતાં તેઓ કહે છે, ‘આ માટે અમે સાતસો મેડિસિનનો ખાસ અભ્યાસ કર્યોઅને ત્યાર બાદ ડોકટર્સની ટીમની નજર નીચે અમારા જ ચાળીસેક માણસ પર એનો એક વર્ષ સુધી પ્રયોગ કર્યો. બધું વ્યવસ્થિત હોવાની ખાતરી મળી તે પછી જ આ યોજના શરૂ કરી.’
૫૧ વર્ષથી ઉપરની કોઇ પણ વ્યકિત આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. ફકત ૧૧૧ રૂપિયા ભરી આ યોજનાના સભ્ય બનવાનું. તમારા ડોકટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એટલી જ સ્ટાન્ડર્ડ કંપનીની અસરકારક દવા ઓછા ભાવે અહીંથી અપાય છે. આ દવા તમારા ફેમિલી ડોકટરને બતાવવાની અને તેઓ જૉ કબૂલ કરે તો ઉપયોગમાં લેવાની. ડો. રાયગગા કહે છે, ‘બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓ માટે આ દવા અપાય છે. અમે જે-તે વ્યકિતના ડોકટરનો પણ અપ્રોચ કરીએ છીએ.’ અત્યારે આ યોજનાનો લાભ ૩૫૦ સભ્યો લઇ રહ્યા છે.
અશ્વિનીકુમાર મેડિકલ રિલીફ સોસાયટીના ત્રણ ડાયોગ્નોસિસ સેન્ટર પણ કાર્યરત છે. ખર્ચ પરવડતો ન હોય તેવા દર્દીઓની અહીં સારવાર કરવામાં આવે છે. આમાનું એક મેડિકલ સેન્ટર શિશુપાડા ગામ(મુંબઈ નજીક થાણા ડિસ્ટ્રિકટ)માં આવેલું છે. આજુબાજુનાં ત્રીસથી ચાળીસ ગામડાંના હેલ્થ કેરની તેમને ખેવના છે. વર્ષે એકવાર અહીંની શાળાઓનાં લગભગ ચારેક હજાર બાળકોની મેડિકલ તપાસ થાય છે અને ક્રોનિક ડિસીઝ માટે નિ:શુલ્ક દવા અપાય છે. એ ઉપરાંત રુરલ હેલ્થ પ્રોગ્રામ પ્રોજેકટ હેઠળ અવારનવાર અનેક મેડિકલ કેમ્પ યોજાતા રહે છે. સોસાયટીનો બીજૉ મુખ્ય પ્રોજેકટ છે, ટીબીના પેશન્ટોને સારવાર આપવી. ટીબીની સેકન્ડરી લાઈનની દવાઓ ખૂબ મોંઘી હોય છે. તે લગભગ ત્રીસથી ચાળીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં આ સંસ્થાએ ટીબીના હજારો દર્દીઓને સારા કર્યા છે.
ડો. રાયગગા કહે છે, ‘ડોકટર, સામાજિક કાર્યકર, અને ડોનર એ ખાટલાના ત્રણ પાયા સમાન છે. ચોથો દર્દીનો પાયો નબળો છે, જેને બાકીના ત્રણેયએ સપોટર્ કરવાનો છે.’