આપણા કૃષિપ્રધાન દેશમાં આજે પણ ખેતીનું મહત્વ ઘટયું નથી. આ ક્ષેત્રમાં એક હરિયાળી કારકિર્દી આપણી રાહ જોઇ રહી છે. ગુજરાતમાં ૧૯૭૨માં બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ હતી. એ પછી કૃષિક્ષેત્રે વધુ અસરકારક રીતે કામ કરવા માટે આ ચાર કૃષિ યુનિ. સ્થપાઇ: આણંદ કૃષિ યુનિવર્સિટી (આણંદ), નવસારી કૃષિ યુનિવર્સિટી (નવસારી) અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (જૂનાગઢ).
ધોરણ-૧૦ પછીના કૃષિ વિષયક અભ્યાસક્રમ
કૃષિ ડિપ્લોમા: બે વર્ષના આ કોર્સમાં ધો.૧૦માં ખેતીના વિષયોને અગ્રીમતા અપાશે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સ્થળે કૃષિ વિદ્યાલયો ચલાવવામાં આવે છે.
કૃષિ ડિપ્લોમા કર્યા પછી રાજ્યસરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામસેવક વગેરે જેવા હોદ્દાઓ પર નોકરી મળી શકે છે. સ્વરોજગારીની પણ ઉજજવળ તકો છે.
લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર: ડેરી, પોલ્ટ્રીફાર્મ, પોલીસ દળના શ્વાન તથા ઘોડા વગેરેને લાઇવસ્ટોક કહેવાય. રાજ્યમાં કે આવી કંપનીઓમાં આવો લાઇવસ્ટોક કેટલી કિંમતનો છે તે જાણવું જરૂરી છે. લાઇવસ્ટોકની આવી જાણકારી અને મૂલ્યાંકન માટે તાલીમ પામેલ વ્યવસાયીને ‘લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર’ કહે છે જેને ગુજરાતીમાં ‘પશુધન નિરિક્ષક’ કહે છે. આ કોર્સમાં ખેડૂતપુત્રને પાંચ ટકા વેઇટેજ સાથે પ્રાધાન્ય મળે છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટી સંચાલિત ગૃહવિજ્ઞાન શાળાઓમાં ગૃહવિજ્ઞાન એટલે કે હોમ સાયન્સ માટેની તાલીમ આપતો બે વર્ષનો પ્રમાણપત્ર કક્ષાનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે.
સંસ્થાઓ:
આ અભ્યાસક્રમ નીચેની બે જગ્યાએ ઉપલબ્ધ છે:
‘આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦
‘દાંતવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર, જિ. બનાસકાંઠા-૩૮૫૫૦૬
શિષ્યવૃત્તિ: આ અભ્યાસક્રમમાં દાખલ થતા વિદ્યાર્થીઓની સંખ્યાની મર્યાદામાં પ્રવેશ મેળવનાર અન્ય જાતિના ઉમેદવારોને યુનિવર્સિટીના નિયમો અનુસાર યુનિવર્સિટી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સમાજકલ્યાણ ખાતા તરફથી શિષ્યવૃત્તિ
મળી શકે છે.
બેકરી તાલીમ
બેકરી ઉત્પાદનોને લગતી બેકરી તાલીમનો ટૂંકાગાળાનો (૨૦ અઠવાડિયાંનો) સર્ટિફિકેટ અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ છે.
પ્રવેશ લાયકાત: સામાન્ય ઉમેદવારોના કિસ્સામાં ધોરણ ૧૦ પાસ, પરંતુ જો ઉમેદવારને બેકરી ઉદ્યોગના બે વર્ષનો અનુભવ હોય અથવા કોઇ બેકરી સંસ્થા દ્વારા મોકલવામાં આવતો હોય તો તેવા ઉમેદવારના કિસ્સામાં ધોરણ ૯ પાસ થયેલા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
વયમર્યાદા: ૧૫થી ૩૫ વર્ષ. પ્રવેશ: વર્ષમાં બે વાર પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થાઓ: આ અભ્યાસક્રમ નીચેની ચાર સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ છે:
‘બેકરી શાળા, આણંદ.
‘બેકરી શાળા, જૂનાગઢ.
‘બેકરી શાળા, સરદાર કૃષિનગર, દાંતીવાડા.
‘બેકરી શાળા, નવસારી
આ અભ્યાસક્રમ પાસ કર્યા પછી ખાનગી ક્ષેત્રની બેકરીમાં કારીગર તરીકે નોકરી મળી શકે છે. તદ્ઉપરાંત પોતાની જાતે નાના પાયે બેકરી ઉદ્યોગ શરૂ કરી સ્વરોજગાર પણ ઊભો કરી શકાય છે.
આજ રીતે ધોરણ ૭ પાસ થયેલા ઉમેદવારો માટે કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિદ્યાલયોમાં દસ અઠવાડિયાંનો મરઘાં ઉછેર તાલીમ તેમજ નવ માસની મુદ્દતનો ગ્રામ્ય કારીગર તાલીમ નામનો અભ્યાસક્રમ પણ લગભગ ઉપલબ્ધ છે.‘